Surendranagar NS Solar Plant Scam : સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના મોટી માલવણ ગામમાં ઉભા કરાયેલા સોલાર પ્લાન્ટને લઈને ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. એન.એસ સોલાર પ્લાન્ટ અને જિલ્લા કલેક્ટર કક્ષાના અધિકારીઓ દ્વારા નિયમોનું ઉલ્લંઘન કરી કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરાયો હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી છે.
ઘુડખર અભ્યારણ નજીક સોલાર પ્લાન્ટને કોણે મંજૂરી આપી?
ફરિયાદ અનુસાર મોટી માલવણ ગામમાં અંદાજે રૂ.850 કરોડનો વિશાળ સોલાર પ્લાન્ટ ઉભો કરાયો હોવાનું સામે આવ્યું છે. આ સોલાર પ્લાન્ટને ઘુડખર અભ્યારણ નજીક જિલ્લા કલેક્ટર દ્વારા મંજૂરી આપવામાં આવી હોવાના આક્ષેપ પણ કરવામાં આવ્યા છે, જેના કારણે પર્યાવરણ અને નિયમોની પાલના અંગે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે.
નાણાકીય ગેરરીતિ થઈનો આક્ષેપ
આ મામલે ધ્રાંગધ્રાના મોટી માલવણ ગામના ખેડૂત અશ્વિનભાઈ પટેલે આગળ આવીને કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારની રજૂઆત કરી છે. તેમણે જણાવ્યું છે કે, સોલાર પ્લાન્ટને મંજૂરી આપતી વખતે નિયમોનું પાલન કરવામાં આવ્યું નથી અને તેમાં મોટા પાયે નાણાકીય ગેરરીતિ થઈ છે.
ઊંડાણપૂર્વક તપાસ કરવાની માગ
અશ્વિનભાઈ પટેલે આ સમગ્ર મામલે વડાપ્રધાન કાર્યાલય, લાંચ-રુશ્વત બ્યુરો સહિતના વિવિધ સરકારી વિભાગોમાં લેખિત ફરિયાદો કરી છે અને સમગ્ર સોલાર પ્લાન્ટ પ્રોજેક્ટની ઊંડાણપૂર્વક તપાસ કરવાની માગ કરી છે. હાલ આ ફરિયાદોને પગલે વહીવટી તંત્રમાં ખળભળાટ મચી ગયો છે અને હવે સંબંધિત એજન્સીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવે છે કે કેમ તેની તરફ સૌની નજર છે.





















