દક્ષિણ ભારતના રાજ્યોમાં સતત ઘટી રહેલા જન્મદરને ધ્યાનમાં રાખીને આંધ્રપ્રદેશ સરકારે એક અત્યંત મહત્વપૂર્ણ અને ચોંકાવનારો નિર્ણય લીધો છે. રાજ્યના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુએ વિધાનસભામાં નવી વસ્તી વ્યવસ્થાપન નીતિની જાહેરાત કરી છે. આ નવી યોજના હેઠળ જો કોઈ પરિવારમાં બીજા કે ત્રીજા બાળકનો જન્મ થાય છે, તો સરકાર દ્વારા આર્થિક પ્રોત્સાહન આપવામાં આવશે. મુખ્યમંત્રીએ ચિંતા વ્યક્ત કરી છે કે જો જન્મદર આ જ રીતે ઘટતો રહેશે, તો ભવિષ્યમાં રાજ્યમાં કામ કરનારા યુવાનોની ભારે અછત સર્જાઈ શકે છે.
ત્રીજા બાળક માટે ખાસ આર્થિક પેકેજ
આંધ્રપ્રદેશ સરકારની નવી દરખાસ્ત મુજબ, પરિવારમાં બીજા કે ત્રીજા બાળકના જન્મ સમયે સરકાર 25,000 રૂપિયાની સીધી આર્થિક મદદ પૂરી પાડશે. આટલું જ નહીં, ત્રીજા બાળકના ઉછેર માટે સરકાર વિશેષ સુવિધાઓ પણ આપશે. જેમાં બાળક 5 વર્ષનું થાય ત્યાં સુધી દર મહિને 1,000 રૂપિયાની સહાય અને 18 વર્ષની ઉંમર સુધી મફત શિક્ષણની જોગવાઈ કરવામાં આવી છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય પરિવારોને આર્થિક ટેકો આપીને વધુ બાળકો પેદા કરવા માટે પ્રોત્સાહિત કરવાનો છે.
1 એપ્રિલથી અમલી બનશે નવા નિયમો
રાજ્ય સરકાર આ નવી નીતિને Marchના અંત સુધીમાં આખરી ઓપ આપી દેશે અને 1 April 2026થી તેનો અમલ શરૂ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. આ પગલાથી આંધ્રપ્રદેશ ભવિષ્યના વસ્તી વિષયક સંકટમાંથી બચી શકશે અને રાજ્યનો આર્થિક વિકાસ દર પણ જળવાઈ રહેશે તેવો સરકારનો દાવો છે.
મહિલાઓ અને શિશુઓ માટે આધુનિક સુવિધાઓ
આ વસ્તી નીતિમાં માત્ર આર્થિક સહાય જ નહીં, પરંતુ આરોગ્ય ક્ષેત્રે પણ અનેક સુધારાઓ સૂચવવામાં આવ્યા છે.
રાજ્યમાં IVF જેવી આધુનિક સુવિધાઓ ધરાવતા મેટરનિટી સેન્ટર ઓફ એક્સલન્સ બનાવવામાં આવશે.
દરેક 50 બાળકોના ગ્રુપ માટે એક ચાઇલ્ડ કેર સેન્ટરની સ્થાપના થશે.
મહિલાઓ માટે ખાસ પિંક ટોયલેટ અને વિશાખાપટ્ટનમમાં 172 કરોડ રૂપિયાના ખર્ચે વર્કિંગ વુમન હોસ્ટેલ તૈયાર કરવામાં આવશે.
સિઝેરિયન ડિલિવરીનું પ્રમાણ ઘટાડીને કુદરતી પ્રસૂતિને પ્રોત્સાહન આપવા માટે પણ તંત્ર કામ કરશે.
શું અન્ય રાજ્યોમાં પણ આવી કોઈ યોજના છે?
સામાન્ય રીતે ભારતના મોટાભાગના રાજ્યોમાં વસ્તી નિયંત્રણ પર ભાર મૂકવામાં આવે છે, પરંતુ આંધ્રપ્રદેશની જેમ વસ્તી વધારવા માટે પ્રોત્સાહન આપતી આ પ્રથમ મોટી યોજના છે. અત્યાર સુધી ઘણા રાજ્યોમાં સગર્ભા મહિલાઓને આર્થિક મદદ આપતી માતૃત્વ યોજનાઓ ચાલે છે, પરંતુ ત્રીજા બાળકના જન્મ પર રોકડ રકમ અને લાંબા ગાળાની સહાય આપવાનો નિયમ અત્યારે અન્ય કોઈ રાજ્યમાં જોવા મળતો નથી.



















