અમેરલીના ધારી તાલુકાના માણાવાવ ગામે સિંહણના હુમલામાં 5 વર્ષના બાળકનું મોત નીપજતાં વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. ઘટનાને પગલે વનવિભાગમાં પણ દોડધામ મચી ગઈ છે.
મળતી માહિતી મુજબ માણાવાવ ગામે ખેત મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા દાહોદ જિલ્લાના પ્રાંતિય મજૂર ઇશ્વર કટારાનો પાંચ વર્ષનો પુત્ર ધવલ ઈશ્વરભાઈ કટારા સાંજના સમયે વાડીએ ઘરની બહાર રમતો હતો. ત્યારે અચાનક એક સિંહણ ઘસી આવી અને બાળકને ઉઠાવી લઈ ગઈ હતી.
આ ઘટનાથી માતા હચમચી ગઈ હતી અને તેણે તરત જ સિંહણ પાછળ દોડ લગાવી હતી, પરંતુ સિંહણ નજીકના બાજરાના ખેતરમાં ચાલી ગઈ હતી. બાદમાં આસપાસના ખેડૂતો અને ગામલોકો બાળકને શોધવા માટે દોડી આવ્યા હતા. ઘટનાની જાણ પોલીસ અને વનવિભાગને પણ કરવામાં આવી હતી.
થોડા સમય બાદ નજીકના ખેતરમાંથી બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો. ત્યારબાદ મૃતદેહને સારવાર અને પોસ્ટમોર્ટમ માટે ચલાલા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
અગાઉ પણ આવી ઘટનાઓ
વિસ્તારમાં વન્યપ્રાણીઓના હુમલાની ઘટનાઓને લઈને લોકોમાં ભયનો માહોલ છે. અગાઉ પણ ધારીના દલખાણીયા અને ગોપાલગ્રામ વિસ્તારમાં સિંહણના હુમલાની ઘટનાઓ સામે આવી હતી.


















