Amit Shah on Ahmedabad Tour : કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ફરી એકવાર ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. તેઓ આજે 27 અને 28 ડિસેમ્બરે અમદાવાદની મુલાકાત લેશે. આ દરમિયાન 28 ડિસેમ્બરે અમદાવાદના શેલા વિસ્તારમાં મહત્વપૂર્ણ ડ્રેનેજ પાઈપલાઈન પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે. આ પ્રોજેક્ટનો કુલ ખર્ચ અંદાજે 600 કરોડ રૂપિયા છે.
ડ્રેનેજ પાઈપલાઈન પ્રોજેક્ટનું લોકાર્પણ
થોડા સમય અગાઉ શેલા વિસ્તારના રહીશોએ ડ્રેનેજ સમસ્યા અંગે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહને રજૂઆત કરી હતી, જેના પગલે તેમણે આ કામ ઝડપથી પૂર્ણ કરવાની ખાતરી આપી હતી અને હવે આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે. આ સાથે સાબરમતી નદી વિસ્તારમાં રહેતા લોકોને પુનર્વસન અને સર્ટિફિકેશન પણ આપવામાં આવશે, જેથી સ્થાનિક રહીશોને મોટી રાહત મળશે.
યુવા બિઝનેસ મહાસંમેલનમાં ભાગ લેશે
અમિત શાહ તેમના પ્રવાસ દરમિયાન અમદાવાદના પકવાન સર્કલ ખાતે તૈયાર થયેલા આઈકોનિક એસ.જી. હાઈવે પ્રોજેક્ટની પણ મુલાકાત લેશે. આ પ્રોજેક્ટ શહેરના ટ્રાફિક અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરના દ્રષ્ટિકોણે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તેમના કાર્યક્રમ મુજબ બપોરે 2 વાગ્યે તેઓ ગુરુદ્વારા ગોવિંદધામમાં દર્શન કરશે. ત્યારબાદ સાંજે 6 વાગ્યે નમોત્સવ કાર્યક્રમમાં હાજરી આપશે અને સાંજે 7 વાગ્યે વિશ્વ ઉમિયાધામ ખાતે યોજાનારા યુવા બિઝનેસ મહાસંમેલનમાં ભાગ લેશે. આમ, અમિત શાહનો આ બે દિવસનો ગુજરાત પ્રવાસ વિકાસ કાર્યો, સામાજિક કાર્યક્રમો અને યુવા ઉદ્યોગકારોને પ્રોત્સાહન આપવાના હેતુથી ખૂબ જ મહત્વપૂર્ણ બનશે.





















