અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા રજૂ કરાયેલી કતલખાનાની દરખાસ્ત આખરે પરત ખેંચવામાં આવી છે. આ દરખાસ્ત સામે ભાજપના જૈન સમાજના ધારાસભ્ય તથા પૂર્વ મેયરે ખુલ્લો વિરોધ નોંધાવતા રાજકીય ગરમાવો સર્જાયો હતો. ભારે વિરોધ બાદ અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ કતલખાનાની દરખાસ્ત પરત ખેંચવાની જાહેરાત કરી છે.
કતલખાનાની દરખાસ્ત અને...
પ્રાપ્ત માહિતી મુજબ, ગઈકાલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બજેટમાં 32 કરોડ રૂપિયાના ખર્ચે જૂનું કતલખાનું બંધ કરી નવું કતલખાનું બનાવવાની યોજના રજૂ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ શહેરના દક્ષિણ ઝોનમાં આવેલા શાહવાડી-બહેરામપુરા વિસ્તારમાં ટીપી-32 ખાતે નવું કતલખાનું બનાવવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. આ માટે અંદાજે 15,882.13 સ્કવેર મીટર જમીનની ફાળવણી પણ કરવામાં આવી હતી.
એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહે વિરોધ નોંધાવ્યો હતો
આ યોજના જાહેર થતાં જ ભાજપ આક્રમક બન્યું હતું. ભાજપના એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહે આ દરખાસ્ત સામે કડક વિરોધ નોંધાવ્યો હતો. તેમણે આ નિર્ણયનો ખુલ્લેઆમ વિરોધ કરતા જણાવ્યું હતું કે કતલખાનાનું નિર્માણ જૈન સમાજની લાગણીઓને આઘાત પહોંચાડે છે.
“હું કતલખાનાની દરખાસ્ત પાછી ખેંચું છું.”
ભારે રાજકીય અને સામાજિક વિરોધને ધ્યાનમાં રાખીને આખરે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, “હું કતલખાનાની દરખાસ્ત પાછી ખેંચું છું.” કમિશનરની આ જાહેરાત બાદ વિવાદ પર વિરામ લાગ્યો છે.
કતલખાનાની યોજના પરત ખેંચાતા ભાજપ અને જૈન સમાજમાં સંતોષની લાગણી જોવા મળી રહી છે, જ્યારે AMCના બજેટમાં સમાવિષ્ટ આ મોટા ખર્ચવાળી યોજનાને લઈ હવે આગળ શું નિર્ણય લેવાશે તે અંગે ચર્ચા ચાલી રહી છે.




















