Amarnath Yatra 2026: અમરનાથ યાત્રા 2026 પહેલાં યાત્રાળુઓ અને કાશ્મીર તરફ જતા પ્રવાસીઓ માટે એક મોટા રાહત સમાચાર સામે આવ્યા છે. જામ્મુ-શ્રીનગર નેશનલ હાઇવે પર રામબન જિલ્લામાં નિર્માણ પામેલી 3.5 કિલોમીટર લાંબી AT-03 સાઉથ બાઉન્ડ ટનલ હવે સંપૂર્ણપણે તૈયાર થઈ ગઈ છે અને આગામી થોડા દિવસોમાં તેને વાહનવ્યવહાર માટે ખુલ્લી મુકવામાં આવી શકે છે. આ ટનલ શરૂ થતાં વર્ષોથી અકસ્માતો, ભૂસ્ખલન અને ટ્રાફિક જામ માટે કુખ્યાત બનેલા 'ખૂની નાળા' વિસ્તારમાંથી લોકોને રાહત મળશે. રૂ.846 કરોડના ખર્ચે નિર્મિત આ આધુનિક ટનલ પંથ્યાલ અને ડિગડૂલ વિસ્તારને સીધી રીતે જોડે છે. ખાસ કરીને આગામી અમરનાથ યાત્રા દરમિયાન લાખો શ્રદ્ધાળુઓ માટે આ પ્રોજેક્ટ અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે.
'ખૂની નાળા' જેવા જોખમી માર્ગોથી મળશે છૂટકારો
જામ્મુ-શ્રીનગર હાઇવે પર આવેલો 'ખૂની નાળો' અને પંથ્યાલ વિસ્તાર લાંબા સમયથી જોખમી ઝોન તરીકે ઓળખાય છે. અહીં વારંવાર ભૂસ્ખલન, અચાનક પૂર અને ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાતી રહી છે. ખાસ કરીને ચોમાસાની ઋતુમાં આ માર્ગ પર મુસાફરી કરવી જોખમભરી બની જતી હતી. નવી 3.5 કિલોમીટર લાંબી AT-03 ટનલ શરૂ થયા બાદ વાહનચાલકોને આ જોખમી માર્ગ પરથી પસાર થવાની જરૂર નહીં પડે. પરિણામે મુસાફરી વધુ સુરક્ષિત, ઝડપી અને આરામદાયક બનશે.
અમરનાથ યાત્રામાં ભજવશે મહત્વની ભૂમિકા
3 જુલાઈ 2026થી શરૂ થનારી અમરનાથ યાત્રા માટે આ ટનલ અત્યંત ઉપયોગી સાબિત થશે. દર વર્ષે લાખો યાત્રાળુઓ અમરનાથ ગુફાના દર્શન માટે જામ્મુ-કાશ્મીર પહોંચે છે અને ઘણીવાર ટ્રાફિક જામ તથા ખરાબ હવામાનના કારણે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. નવી ટનલ શરૂ થતાં યાત્રાળુઓનો પ્રવાસ સમય ઘટશે, ટ્રાફિકમાં ઘટાડો થશે અને યાત્રા વધુ સરળ અને સુવિધાજનક બનશે. સાથે જ ખરાબ હવામાન દરમિયાન પણ વર્ષભર કનેક્ટિવિટી જાળવી રાખવામાં મદદ મળશે.
રૂ.846 કરોડના ખર્ચે તૈયાર થયો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ
AT-03 સાઉથ બાઉન્ડ ટનલનું નિર્માણ સરલા પ્રોજેક્ટ વર્ક્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા કરવામાં આવ્યું છે. કંપનીના ટેક્નિકલ મેનેજર હરીશ કુંજાએ જણાવ્યું હતું કે, ટનલનું કામ પૂર્ણ થઈ ગયું છે અને અમરનાથ યાત્રા પહેલાં જ તેને ટ્રાફિક માટે શરૂ કરવાની તૈયારીઓ ચાલી રહી છે. આ ટનલ જામ્મુ-શ્રીનગર નેશનલ હાઇવેના આધુનિકીકરણ તરફનું મહત્વનું પગલું માનવામાં આવી રહી છે, જે માત્ર મુસાફરીને સરળ નહીં બનાવે પરંતુ સમગ્ર વિસ્તારના વિકાસમાં પણ મહત્વનો ફાળો આપશે.
વેપાર, પ્રવાસન અને કનેક્ટિવિટીને મળશે વેગ
સ્થાનિક લોકો અને પરિવહન ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો આ પ્રોજેક્ટને 'ગેમ ચેન્જર' ગણાવી રહ્યા છે. તેમનું માનવું છે કે ટનલ શરૂ થતાં વેપાર-ઉદ્યોગને વેગ મળશે, પ્રવાસન ક્ષેત્રને પ્રોત્સાહન મળશે અને સમગ્ર પ્રદેશમાં વર્ષભર સુગમ પરિવહન વ્યવસ્થા ઉપલબ્ધ થશે. નવી ટનલના કારણે માત્ર મુસાફરીનો સમય ઘટશે એટલું જ નહીં પરંતુ માર્ગ સુરક્ષામાં પણ નોંધપાત્ર સુધારો જોવા મળશે. ખાસ કરીને હિમવર્ષા અને ચોમાસા દરમિયાન પણ આ માર્ગ ખુલ્લો રહેવાની શક્યતા હોવાથી લોકો માટે આ પ્રોજેક્ટ લાંબા ગાળે લાભદાયી સાબિત થશે.





