Home National Amarnath Yatra 2026 3 Lakh Devotees Record In 12 Days

બરફનું શિવલિંગ ઓગળ્યું, પણ ભક્તોની શ્રદ્ધા નહીં! : માત્ર 12 દિવસમાં 3 લાખથી વધુ ભક્તોએ કર્યા બાબા બર્ફાનીના દર્શન, આ વર્ષે તૂટ્યા તમામ જૂના રેકોર્ડ

Amarnath Yatra 2026
Image Credit: twitter
Published by: Nirali Gohil
Last Updated: Jul 15, 2026, 11:19 AM IST

Amarnath Yatra 2026: જમ્મુ-કાશ્મીરની પવિત્ર અમરનાથ યાત્રા દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું સૌથી મોટું કેન્દ્ર બને છે. કઠિન પહાડી માર્ગ, બદલાતું હવામાન અને અનેક પડકારો વચ્ચે પણ ભગવાન શિવના દર્શન કરવા માટે દેશ-વિદેશમાંથી ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડે છે. વર્ષ 2026ની અમરનાથ યાત્રાએ આ વર્ષે એક નવો ઇતિહાસ રચ્યો છે. યાત્રાના માત્ર 12 દિવસમાં જ 3 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ પવિત્ર અમરનાથ ગુફામાં બાબા બર્ફાનીના દર્શન કરીને નવો રેકોર્ડ સ્થાપ્યો છે. આ આંકડો અત્યાર સુધીની યાત્રાના પ્રારંભિક દિવસોમાં નોંધાયેલા સૌથી મોટા આંકડાઓમાંનો એક માનવામાં આવી રહ્યો છે. ખાસ વાત એ છે કે, આ વર્ષે યાત્રાની શરૂઆતના દિવસોમાં જ કુદરતી બરફથી બનેલું શિવલિંગ સામાન્ય કરતાં વહેલું ઓગળી ગયું હતું. તેમ છતાં શ્રદ્ધાળુઓની આસ્થામાં કોઈ ઘટાડો જોવા મળ્યો નથી. દરરોજ હજારો ભક્તો કઠિન માર્ગ પાર કરીને પવિત્ર ગુફા સુધી પહોંચી રહ્યા છે. અમરનાથ શ્રાઇન બોર્ડ દ્વારા કરવામાં આવેલી સુવ્યવસ્થિત આયોજન, કડક સુરક્ષા વ્યવસ્થા અને યાત્રાળુઓ માટે ઉપલબ્ધ કરાવવામાં આવેલી આધુનિક સુવિધાઓને કારણે યાત્રા અત્યાર સુધી સફળતાપૂર્વક આગળ વધી રહી છે.

12 દિવસમાં 3 લાખથી વધુ ભક્તોએ કર્યા દર્શન

અમરનાથ યાત્રા 2026 દરમિયાન માત્ર 12 દિવસમાં જ 3 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ બાબા બર્ફાનીના દર્શન કર્યા છે. ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે યાત્રાળુઓની સંખ્યામાં અંદાજે 37 ટકા જેટલો વધારો નોંધાયો છે, જે આ યાત્રાની વધતી લોકપ્રિયતા અને ભક્તોની અડગ આસ્થાનું પ્રતિબિંબ માનવામાં આવે છે. દરરોજ સરેરાશ 15 હજારથી 20 હજાર સુધી શ્રદ્ધાળુઓ પવિત્ર ગુફા સુધી પહોંચી રહ્યા છે. અત્યાર સુધી એવો એકપણ દિવસ રહ્યો નથી કે જ્યારે દર્શનાર્થીઓની સંખ્યા નોંધપાત્ર રીતે ઘટી હોય.

શિવલિંગ ઓગળ્યું છતાં ભક્તોની શ્રદ્ધા અકબંધ

આ વર્ષની યાત્રાની સૌથી ચર્ચાસ્પદ ઘટના બરફના કુદરતી શિવલિંગનું વહેલું ઓગળી જવું રહ્યું. મે મહિનામાં લગભગ સાત ફૂટ ઊંચું બનેલું બરફનું શિવલિંગ યાત્રાની શરૂઆતના થોડા દિવસોમાં જ ઓગળી ગયું હતું. તેમ છતાં શ્રદ્ધાળુઓ માટે આસ્થા માત્ર બરફના શિવલિંગ સુધી મર્યાદિત નથી. ભક્તોનું માનવું છે કે પવિત્ર ગુફાનું આધ્યાત્મિક મહત્વ અને ભગવાન શિવ પ્રત્યેની શ્રદ્ધા કોઈ ભૌતિક સ્વરૂપ પર આધારિત નથી. તેથી શિવલિંગ ઓગળી જવા છતાં યાત્રાળુઓના ઉત્સાહમાં કોઈ ઘટાડો જોવા મળ્યો નથી.

આ પણ વાંચો: ભારત-બાંગ્લાદેશ સરહદ પર સુરક્ષા વધુ મજબૂત કરાશે : પશ્ચિમ બંગાળ સરકારે ફેન્સિંગના કામ માટે BSFને 1024 એકર જમીન ફાળવી

ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ તમામ ટીમોની કરી પ્રશંસા

જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ અમરનાથ યાત્રાની સફળ કામગીરી બદલ તમામ અધિકારીઓ, સુરક્ષા દળો, સેવા પ્રદાતાઓ અને સ્વયંસેવકોની પ્રશંસા કરી છે. તેમણે જણાવ્યું કે, કઠિન ભૌગોલિક પરિસ્થિતિ અને મોટી સંખ્યામાં યાત્રાળુઓ હોવા છતાં દરેક વિભાગે સંકલન સાથે કામગીરી કરી છે. જેના કારણે લાખો ભક્તો સુરક્ષિત રીતે યાત્રા પૂર્ણ કરી રહ્યા છે.

સુરક્ષા અને સુવિધાઓ બન્યા સફળતાના મુખ્ય આધાર

અમરનાથ શ્રાઇન બોર્ડે આ વર્ષે યાત્રાળુઓ માટે અનેક નવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવી છે. સમગ્ર યાત્રા માર્ગ પર સુરક્ષા દળોની વિશેષ તૈનાતી, મેડિકલ કેમ્પ, આરોગ્ય સેવાઓ, આરામ કેન્દ્રો, ટ્રાફિક મેનેજમેન્ટ અને સતત મોનિટરિંગ જેવી વ્યવસ્થાઓ કરવામાં આવી છે. આ ઉપરાંત બાલટાલ અને પહેલગામ બંને રૂટ પર યાત્રાળુઓની સુવિધા માટે ખાસ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે, જેના કારણે યાત્રા વધુ સુવ્યવસ્થિત બની છે.

14મો જથ્થો પણ બેઝ કેમ્પ માટે રવાના

બુધવારે જમ્મુના ભગવતીનગર યાત્રી નિવાસથી અમરનાથ યાત્રાનો 14મો જથ્થો બાલટાલ અને પહેલગામ બેઝ કેમ્પ તરફ રવાના થયો હતો. આ જથ્થામાં કુલ 6,251 શ્રદ્ધાળુઓ સામેલ હતા. જેમાં 2,985 યાત્રાળુઓ બાલટાલ માર્ગે જ્યારે 3,266 ભક્તો પરંપરાગત પહેલગામ માર્ગે આગળ વધ્યા હતા. આ કાફલામાં કુલ 230 વાહનોનો સમાવેશ થયો હતો. ખાસ વાત એ છે કે યાત્રામાં મહિલાઓ, બાળકો, સાધુ-સંતો ઉપરાંત આશરે 50 વિદેશી શ્રદ્ધાળુઓ પણ જોડાયા છે.

આ પણ વાંચો: 8th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓ માટે સારા સમાચાર : બેઝિક વધતાં HRAમાં થશે મોટો વધારો, મહિને હાથમાં આવશે તગડી રકમ, સમજો ગણિત

એડવાન્સ નોંધણી 4 લાખને પાર

અમરનાથ યાત્રા માટે સમગ્ર દેશમાંથી મળેલી એડવાન્સ નોંધણીઓનો આંકડો 4 લાખને પાર પહોંચી ગયો છે. આ આંકડો દર્શાવે છે કે દર વર્ષે યાત્રા પ્રત્યે લોકોનો વિશ્વાસ અને ઉત્સાહ સતત વધી રહ્યો છે. અમરનાથ શ્રાઇન બોર્ડનું કહેવું છે કે, યાત્રા દરમિયાન સુરક્ષા અને સુવિધા બંને બાબતોને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી રહી છે, જેથી દરેક શ્રદ્ધાળુ સુરક્ષિત અને સુવિધાજનક રીતે દર્શન કરી શકે.

28 ઓગસ્ટે રક્ષાબંધનના દિવસે પૂર્ણ થશે યાત્રા

57 દિવસ ચાલનારી શ્રી અમરનાથ યાત્રા 2026નું સમાપન 28 ઓગસ્ટે રક્ષાબંધનના પવિત્ર દિવસે થશે. ત્યાં સુધી દરરોજ હજારો શ્રદ્ધાળુઓ બાલટાલ અને પહેલગામ માર્ગે પવિત્ર ગુફા સુધી પહોંચીને બાબા બર્ફાનીના દર્શન કરશે. યાત્રાની શરૂઆતમાં બાબા બર્ફાનીની પ્રથમ આરતીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેને દેશ-વિદેશના કરોડો શ્રદ્ધાળુઓએ નિહાળ્યો હતો. હવે યાત્રાના માત્ર 12 દિવસમાં 3 લાખથી વધુ ભક્તોના દર્શન સાથે અમરનાથ યાત્રા 2026એ વધુ એક ઐતિહાસિક સિદ્ધિ પોતાના નામે નોંધાવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now