રાજસ્થાનમાં ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદથી 50 કિલોમીટરના વિસ્તારમાં આવેલી કેટલીક મસ્જિદો, મદરસા અને દરગાહોને આપવામાં આવેલા કારણ દર્શાવો, ખાલી કરવા અને બેદખલીના નોટિસને લઈને ચાલી રહેલા વિવાદ પર રાજસ્થાન હાઈકોર્ટે મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો છે. હાઈકોર્ટે આ નોટિસોને પડકારતી અનેક અરજીઓ ફગાવી દીધી છે અને સ્પષ્ટ કર્યું છે કે સમગ્ર મામલો ધાર્મિક ભેદભાવનો નહીં પરંતુ રાષ્ટ્રીય સુરક્ષા અને કાયદાકીય પ્રક્રિયાનો છે.
કોર્ટના આ નિર્ણય બાદ ફરી એકવાર સરહદી વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા અને બોર્ડર વિસ્તાર સંબંધિત કાયદાઓ અંગે ચર્ચા શરૂ થઈ છે. રાજ્ય સરકારના જણાવ્યા મુજબ ભારત-પાકિસ્તાન સરહદનો વિસ્તાર અત્યંત સંવેદનશીલ હોવાથી સુરક્ષા એજન્સીઓના ઇનપુટના આધારે જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહી છે.
કયા કાયદાનો કર્યો ઉલ્લેખ?
રાજસ્થાન હાઈકોર્ટના જસ્ટિસ સમીર જૈને પોતાના ચુકાદામાં બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) અધિનિયમની કલમ 139 હેઠળ કેન્દ્રના ગૃહ મંત્રાલય દ્વારા 11 ઓક્ટોબર, 2021ના રોજ બહાર પાડવામાં આવેલી સૂચનાનો ઉલ્લેખ કર્યો છે.
આ સૂચના મુજબ પંજાબ, પશ્ચિમ બંગાળ અને આસામની જેમ રાજસ્થાન સહિત કેટલાક સરહદી રાજ્યોમાં આંતરરાષ્ટ્રીય સરહદથી 50 કિલોમીટર સુધી BSFના અધિકારક્ષેત્ર અને ઓપરેશનલ સત્તાઓનો વિસ્તાર કરવામાં આવ્યો હતો. સરકારનું કહેવું છે કે આ નિર્ણય ઘૂસણખોરી, દાણચોરી, સરહદ પારના ગુનાઓ અને અન્ય સુરક્ષા જોખમોને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો હતો. કોર્ટે નોંધ્યું કે આ માત્ર વહીવટી નિર્ણય નહીં પરંતુ રાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત ઉચ્ચ સ્તરનો નીતિગત નિર્ણય છે, જેમાં વર્તમાન સુરક્ષા પરિસ્થિતિ અને ગુપ્તચર એજન્સીઓના ઇનપુટને પણ ધ્યાનમાં લેવામાં આવ્યા છે.
રાજ્ય સરકારે શું દલીલ કરી?
સુનાવણી દરમિયાન રાજસ્થાન સરકારે દલીલ કરી હતી કે સરહદી વિસ્તારમાં આવેલી કેટલીક મસ્જિદો, મદરસા, દરગાહો તેમજ અન્ય માળખાં જરૂરી નિયમો અને મંજૂરી વિના બનાવવામાં આવ્યા છે. સરકારના જણાવ્યા મુજબ સુરક્ષા એજન્સીઓ પાસેથી મળેલા ઇનપુટના આધારે આ વિસ્તારોમાં ગેરકાયદેસર બાંધકામોની તપાસ હાથ ધરવામાં આવી રહી છે. રાજ્ય સરકારે કોર્ટને જણાવ્યું કે કાર્યવાહી કોઈ ચોક્કસ ધર્મને નિશાન બનાવીને કરવામાં આવી રહી નથી, પરંતુ રાષ્ટ્રીય સુરક્ષા, કાયદો અને વ્યવસ્થા જાળવવાના હેતુથી તમામ ગેરકાયદેસર બાંધકામો સામે સમાન રીતે પગલાં લેવામાં આવી રહ્યા છે.
ધાર્મિક ભેદભાવનો આક્ષેપ ફગાવ્યો
અરજદારો તરફથી દલીલ કરવામાં આવી હતી કે કાર્યવાહી માત્ર ધાર્મિક સ્થળોને નિશાન બનાવીને થઈ રહી છે. જોકે હાઈકોર્ટે આ દલીલ સ્વીકારી નહોતી.
કોર્ટે સ્પષ્ટ કર્યું કે રેકોર્ડ પર ઉપલબ્ધ માહિતી દર્શાવે છે કે સંવેદનશીલ સરહદી વિસ્તારોમાં જ્યાં પણ ગેરકાયદેસર બાંધકામો મળી આવ્યા છે ત્યાં કોઈપણ સમુદાય વચ્ચે ભેદભાવ રાખ્યા વિના નોટિસ આપવામાં આવ્યા છે. તેથી આ મુદ્દાને
ધાર્મિક ભેદભાવ સાથે જોડવો યોગ્ય નથી. કોર્ટનું કહેવું હતું કે ખુલ્લી કોર્ટમાં સંવેદનશીલ ગુપ્તચર માહિતી જાહેર કરવી રાષ્ટ્રીય સુરક્ષાના હિતમાં યોગ્ય નથી. સુરક્ષા સંબંધિત બાબતોમાં સક્ષમ અધિકારીઓને જરૂરી કાર્યવાહી કરવાનો અધિકાર છે.
ગૃહ મંત્રાલયની કાર્યવાહીનો કર્યો સમર્થન
ચુકાદામાં હાઈકોર્ટે કેન્દ્રના ગૃહ મંત્રાલયની 11 ઓક્ટોબર, 2021ની સૂચનાને રાષ્ટ્રીય સુરક્ષા માટે મહત્વપૂર્ણ ગણાવી હતી. કોર્ટે નોંધ્યું કે બદલાતી સુરક્ષા પરિસ્થિતિમાં સરહદી વિસ્તારોમાં BSFના અધિકારક્ષેત્રને વિસ્તૃત કરવાનો નિર્ણય દેશની સંપ્રભુતા અને અખંડિતતાની સુરક્ષા માટે જરૂરી હતો. કોર્ટના જણાવ્યા મુજબ આવા નિર્ણયો રાષ્ટ્રીય હિતમાં લેવામાં આવે છે અને તેનો હેતુ ઘૂસણખોરી, દાણચોરી અને સરહદ પારના અન્ય ગુનાઓને રોકવાનો છે.
અરજદારો માટે હજુ શું વિકલ્પ છે?
જોકે હાઈકોર્ટે અરજીઓ ફગાવી દીધી છે, તેમ છતાં કોર્ટે દરેક કેસની અલગથી તપાસ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. કોર્ટે નિર્દેશ આપ્યો છે કે સંબંધિત જિલ્લાના કલેક્ટર, પોલીસ અધિક્ષક (SP) અને BSFના પ્રતિનિધિની સંયુક્ત સમિતિ બનાવવામાં આવે. આ સમિતિ દરેક મિલકતની અલગથી તપાસ કરશે અને તે બાદ સંબંધિત કાયદા મુજબ નિર્ણય લેવામાં આવશે. એટલે કે તમામ માળખાં સામે એકસમાન કાર્યવાહી નહીં થાય, પરંતુ દરેક કેસના તથ્યો અને કાયદાકીય સ્થિતિના આધારે અંતિમ નિર્ણય લેવામાં આવશે.
'180 મસ્જિદો-દરગાહો'નો દાવો શું છે?
સોશિયલ મીડિયા અને કેટલાક અહેવાલોમાં 180 મસ્જિદો, મદરસા અને દરગાહો તોડી પાડવામાં આવશે એવો દાવો કરવામાં આવી રહ્યો છે. જોકે હાઈકોર્ટના આદેશમાં કોઈ ચોક્કસ સંખ્યા મુજબ તાત્કાલિક તોડફોડ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો નથી. કોર્ટનો નિર્ણય મુખ્યત્વે નોટિસોની કાયદેસરતા, રાષ્ટ્રીય સુરક્ષા અને દરેક મિલકતની અલગથી તપાસ કરવાની પ્રક્રિયા અંગે છે.
આથી અંતિમ કાર્યવાહી સંબંધિત સત્તાવાળાઓ દ્વારા તપાસ પૂર્ણ થયા બાદ જ કાયદાકીય જોગવાઈઓ અનુસાર કરવામાં આવશે.





