Hydrogen Train India: ભારતીય રેલવેના ઇતિહાસમાં એક નવો અધ્યાય જોડાવા જઈ રહ્યો છે. દેશની પહેલી ગ્રીન હાઇડ્રોજનથી ચાલતી ટ્રેન લોન્ચિંગ માટે તૈયાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયાના માધ્યમથી દેશની પહેલી હાઇડ્રોજન ટ્રેનની તસવીરો શેર કરી છે. 17 જુલાઈના રોજ હરિયાણાના જીંદથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ ઐતિહાસિક ટ્રેનને લીલી ઝંડી બતાવીને રવાના કરશે. આ હાઇડ્રોજન ટ્રેન જીંદ અને સોનીપત વચ્ચે દોડશે.
આ પણ વાંચો: જામનગરવાસીઓને મોટી રાહત : લાલપુર સિક્સ-લેન ફ્લાયઓવરનું 80% કામ પૂર્ણ, દરરોજ 2 લાખ લોકોને થશે ફાયદો
PM મોદીએ શેર કરી તસવીરો
વડાપ્રધાન મોદીએ પોતાના ઓફિશિયલ ફેસબુક એકાઉન્ટ પર હાઇડ્રોજન ટ્રેનની તસવીરો પોસ્ટ કરતા લખ્યું, 'ભારતની પહેલી હાઇડ્રોજન-પાવર્ડ ટ્રેન હરિયાણાથી શરૂ થવા જઈ રહી છે.' તેમની આ પોસ્ટ બાદ આ પ્રોજેક્ટને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ પ્રોજેક્ટ ભારતીય રેલવેની 'હાઇડ્રોજન ફોર હેરિટેજ' પહેલનો એક ભાગ છે. આ યોજના હેઠળ રેલવે ભવિષ્યમાં વધુ 35 હાઇડ્રોજન ટ્રેનો શરૂ કરવાની તૈયારી કરી રહ્યું છે, જેથી વિરાસત (હેરિટેજ) અને ગ્રામીણ રૂટો પર ચાલી રહેલા જૂના ડીઝલ એન્જીનોની જગ્યાએ પર્યાવરણ-અનુકૂળ વિકલ્પ પૂરો પાડી શકાય.
શું છે આ ટ્રેનની ખાસિયત?
નવી ટ્રેનને 10 કોચવાળા હાઇડ્રોજન-સંચાલિત DEMU સેટ તરીકે તૈયાર કરવામાં આવી છે. જેમાં બેસવા માટે 682 સીટો છે, જ્યારે કુલ 2,600 મુસાફરોને લઈ જવાની ક્ષમતા છે. ટ્રાયલ દરમિયાન ટ્રેને આનાથી વધુ ઝડપ મેળવી હતી, પરંતુ નિયમિત સંચાલન માટે તેની મહત્તમ ઝડપ 75 કિલોમીટર પ્રતિ કલાક નક્કી કરવામાં આવી છે. આ હાલમાં એક પાયલોટ પ્રોજેક્ટ હોવાથી તેને નિયંત્રિત અને સાવચેતીપૂર્વક શરૂ કરવામાં આવી રહ્યો છે.
મીડિયા અહેવાલો અનુસાર, હાઇડ્રોજન ટ્રેનો ચાલતા-ફરતા વીજળીઘર (પાવર હાઉસ)ની જેમ કામ કરે છે. તેમાં રહેલા હાઇડ્રોજન ગેસ અને બહારના વાતાવરણમાંથી મળતા ઓક્સિજનને ફ્યુઅલ સેલની અંદર મિશ્રિત કરવામાં આવે છે. આ રાસાયણિક પ્રક્રિયાથી વીજળી ઉત્પન્ન થાય છે, જે ટ્રેનની ઇલેક્ટ્રિક મોટરોને ચલાવે છે. આ સમગ્ર પ્રક્રિયામાં કોઈ પણ પ્રકારનો હાનિકારક ધુમાડો નીકળતો નથી. તેના બદલે માત્ર પાણીની વરાળ (વોટર વેપર) અને ગરમી ઉત્પન્ન થાય છે.
એક્સપર્ટ્સનું શું કહેવું છે?
નિષ્ણાતોના મતે, આ ટ્રેનોનો હેતુ રેલવે નેટવર્કને કાર્બન ઉત્સર્જનથી મુક્ત બનાવવાનો છે, ખાસ કરીને એવા રૂટો પર જ્યાં ઓવરહેડ વીજળીની લાઈનો નાખવી મુશ્કેલ અથવા ખૂબ ખર્ચાળ છે. હાઇડ્રોજન ટ્રેનો મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિના પણ ઇલેક્ટ્રિક ટ્રેનો જેવા જ પર્યાવરણીય ફાયદા આપે છે અને તેને ડીઝલ ટ્રેનોની જેમ જ મિનિટોમાં ફરીથી ઇંધણ ભરીને દોડાવી શકાય છે.
આ પણ વાંચો: અમૃત ભારત સ્ટેશન યોજના : PM મોદી 17 જુલાઈએ ગોધરા રેલવે સ્ટેશનનું કરશે વર્ચ્યુઅલ લોકાર્પણ





