logo-img
Alpesh Thakor At The Constitution Meeting Of Patdi Dasada Kshatriya Thakor Samaj

'દસાડા પોલીસ ઇન્સ્પેક્ટરની તાત્કાલિક બદલી થવી જોઈએ' : પાટડી–દસાડા ક્ષત્રિય ઠાકોર સમાજના બંધારણ બેઠકમાં અલ્પેશ ઠાકોરે શું કહ્યું?

'દસાડા પોલીસ ઇન્સ્પેક્ટરની તાત્કાલિક બદલી થવી જોઈએ'
Published by: Offbeat Team
| Last Updated: Feb 08, 2026, 10:38 AM IST

સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકામાં વેલનાથબાપાની જગ્યાએ પાટડી–દસાડા ક્ષત્રિય ઠાકોર સમાજના બંધારણ બાબતે એક મહત્વપૂર્ણ સામાજિક કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે પાટડી અને દસાડા તાલુકા ઉપરાંત આજુબાજુના શંખેશ્વર, માંડલ અને બેચરાજી વિસ્તારોમાંથી ઠાકોર સમાજના બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન સમાજના ભવિષ્ય, એકતા અને સુધારણા માટેના વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

સમાજના બંધારણ સંબંધિત ચર્ચામાં ખાસ કરીને વ્યસન મુક્તિ, કુરિવાજો દૂર કરવાના પ્રયાસો, ખોટા ખર્ચ અને ખોટા દેખાડા જેવી પ્રવૃત્તિઓ પર નિયંત્રણ લાવવા અંગે વિચારવિમર્શ કરવામાં આવ્યો હતો. સમાજને સુધારણા અને શિસ્તના માર્ગે આગળ લઈ જવા માટે તમામ આગેવાનોએ એકમતતા દર્શાવી હતી.

'વ્યસન મુક્તિ માટે પ્રયત્નશીલ યુવાનો પર ખોટા કેસ ન કરવા જોઈએ'

આ કાર્યક્રમ દરમિયાન વાલેવડા ગામમાં દારૂ સંબંધિત થયેલા બનાવને લઈને બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરને સમાજ તરફથી રજૂઆત કરવામાં આવી હતી. ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે, વ્યસન મુક્તિ માટે પ્રયત્નશીલ યુવાનો પર પોલીસ દ્વારા ખોટા કેસ ન થવા જોઈએ તેમજ બુટલેગરોને કોઈ પણ પ્રકારનો સાથ-સહકાર મળવો ન જોઈએ.

'દસાડા પોલીસ ઇન્સ્પેક્ટરની તાત્કાલિક બદલી થવી જોઈએ'

કાર્યક્રમમાં હાજર ક્ષત્રિય ઠાકોર સેનાના ગુજરાત પ્રમુખ ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે વાલેવડા પ્રકરણને લઈને કડક શબ્દોમાં વાત કરી હતી. તેમણે જાહેર સ્ટેજ પરથી જણાવ્યું હતું કે, દસાડા પોલીસ ઇન્સ્પેક્ટરની તાત્કાલિક બદલી થવી જોઈએ તેમજ નિર્દોષ લોકો ઉપર નોંધાયેલી ખોટી ફરિયાદો તાત્કાલિક પાછી લેવાવી જોઈએ. અલ્પેશ ઠાકોરે કહ્યું કે સમાજ દર્શન અને સામાજિક બંધારણ તેમજ દારૂ મુદ્દે પોલીસને રજૂઆત કરવા જતા જો ફરિયાદો નોંધાય તો તે યોગ્ય નથી અને આવા મામલાઓમાં જવાબદારી નક્કી થવી જોઈએ.

આ બંધારણના પ્રસંગે ક્ષત્રિય ઠાકોર સેનાના ગુજરાત પ્રમુખ અલ્પેશ ઠાકોર, સુરેન્દ્રનગર જિલ્લાના સાંસદ ચંદુભાઈ શિહોરા, બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર, પૂર્વ ધારાસભ્ય ભરતજી તેમજ દસાડા–પાટડીના ક્ષત્રિય સમાજના આગેવાનો અને ઠાકોર સમાજના મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ સમાજની એકતા, જાગૃતિ અને સુધારણાના સંદેશ સાથે સંપન્ન થયો હતો.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now