રાહુલ ગાંધીની પ્રેસ કોન્ફરન્સ બાદ આ દિવસોમાં દેશમાં મત ચોરીનો મુદ્દો ગરમાયો છે. તેના વિરોધમાં, ઇન્ડિયા ગંઠબધન આજે દિલ્હીમાં ચૂંટણી પંચના કાર્યાલય સુધી કૂચ કરી રહ્યું છે. અખિલેશ યાદવે પણ આ મામલે રાહુલ ગાંધીને ટેકો આપ્યો છે. રાહુલ ગાંધીના ચૂંટણી પંચ પરના આરોપ અંગે તેમણે કહ્યું કે 'ચૂંટણી પંચ પર આવા આરોપો પહેલીવાર લાગ્યા નથી. અમારી પાર્ટી પણ આવા મુદ્દા ઉઠાવી રહી છે.' આ ઉપરાંત કોંગ્રેસના સાંસદ પ્રમોદ તિવારીએ રાહુલ ગાંધી વિશે કહ્યું કે 'રાહુલ મહાત્મા ગાંધીના માર્ગે ચાલી રહ્યા છે.'
સાંસદોની પોલીસે અટકાયત કરી
સંસદથી ચૂંટણી પંચના કાર્યાલય સુધી કૂચ કરી રહેલા ઘણા સાંસદોની પોલીસે અટકાયત કરી છે. આ નેતાઓમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત લોકસભા અને રાજ્યસભાના ઘણા અન્ય સાંસદોની પણ અટકાયત કરવામાં આવી છે. હાલ પૂરતું કૂચ અટકાવી દેવામાં આવી છે.
સંસદ ભવનના મકર દ્વાર ખાતે નેતાઓ ભેગા થયા હતા
ઇન્ડિયા બ્લોકના નેતાઓ વિરોધ કરવા માટે સંસદ ભવનના મકર દ્વાર ખાતે ભેગા થયા હતા. તમામ નેતાઓ બિહારમાં મતદાર યાદીઓના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) અને 2024ની લોકસભા ચૂંટણી દરમિયાન મતોમાં છેતરપિંડી મામલે કૂચ કરી રહ્યા હતા. રાહુલ ગાંધી આ વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ કરી રહ્યા છે.
મિલ્કીપુર પેટાચૂંટણીમાં મતોની ચોરી થઈ: અખિલેશ
અખિલેશ યાદવે કહ્યું કે 'મતોની ચોરી પહેલી વાર નથી થઈ. આ પહેલા સમાજવાદી પાર્ટીએ ઘણી વખત ચૂંટણીઓમાં આવો મુદ્દો ઉઠાવ્યો છે. પોલીસ કર્મચારીઓ સાદા કપડામાં મતદાન મથકો પર હાજર હોય છે. તેઓ ખાતરી કરે છે કે ભાજપને મહત્તમ મત મળે.' અખિલેશે કહ્યું કે 'મિલ્કીપુર પેટાચૂંટણીમાં મતોની ચોરી થઈ હતી. અમને આશા છે કે કોંગ્રેસ પાર્ટી અપ્રમાણિક અધિકારીઓ સામે કાર્યવાહી કરશે.'

_a4553832-6bd3-48f9-8a50-0cfbe0adfc2b.jpg)



















