અજમેરમાં ખ્વાજા ગરીબ નવાઝના 813મા ઉર્સની ઉજવણી પહેલા જ, મ્યુનિસિપલ કોર્પોરેશને દરગાહ વિસ્તારમાં આવેલા ગેરકાયદેસર દબાણ દૂર કરવાની મોટી ઝુંબેશ શરૂ કરી છે. ગુરુવારે અંદરકોટ, અઢાઈ દિન કા ઝોપડા, દિલ્હી ગેટ અને સહિતના અનેક વિસ્તારોમાં પણ દબાણ હટાવવાની કાર્યવાહી કરવામાં આવી. આ કાર્યવાહીથી વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. મ્યુનિસિપલ કોર્પોરેશનની સાથે દરગાહ પોલીસ સ્ટેશન વિભાગના પોલીસ કર્મીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતા. દરગાહ વિસ્તારમાં આવેલી ગટરે અને રસ્તાઓ પર કરવામાં આવેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે આ કાર્યવાહી હાથ ધરાઈ છે.
આ મામલે મનપાના એક અધિકારીના જણાવ્યા મુજબ, જાહેર સ્થળો પર કરવામાં આવેલા આ દબાણને કારણે અવર જવર કરતા અનેક લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યોં હતો. જો કે સ્થાનિક દુકાનદારો અને સ્થાનિક લોકોએ મનપાની આ દબાણ કાર્યવાહી વિરોધ કર્યો હતો. આ મામલે સ્થાનિકોનો વિરોધ વધતાં પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ પણ થયું હતું. જે બાદ પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસ વિભાગે મોર્ચો સંભાળ્યો હતો.
આ મામલે મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ જણાવ્યું હતું કે, ઉર્સ પહેલા વિસ્તારને વ્યવસ્થિત બનાવવા માટે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. દબાણો દૂર થતાં ટ્રાફિકની સમસ્યા અને રાહદારીઓને રાહત મળશે. નોંધનિય છે કે, અગાઉ કોર્પોરેશને દબાણો હટાવવા માટે નોટીસ પણ ફટકારી હતી. પરંતુ લોકોએ ધ્યાન ન આપતાં આ કડક કાર્યવાહી કરવામાં આવી છે.






