ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ સુકાની વિરાટ કોહલીની આક્રમક શૈલીને કારણે અવારનવાર તેમની ટીકા થતી હોય છે. સોશિયલ મીડિયા અને ક્રિકેટ જગતનો એક વર્ગ તેમને અભિમાની માને છે, પરંતુ તેમની સાથે લાંબો સમય રમી ચૂકેલા અજિંક્ય રહાણેએ આ મામલે મૌન તોડ્યું છે. રહાણે લાંબા સમય સુધી કોહલીની કેપ્ટન્સીમાં વાઈસ કેપ્ટન રહ્યા છે, તેથી તેઓ વિરાટના સ્વભાવને ખૂબ નજીકથી ઓળખે છે. રહાણેના મતે, બહારના લોકો વિરાટના રમત પ્રત્યેના ઝનુનને ગેરસમજમાં ઘમંડ માની લે છે.
રહાણેએ વિરાટના વલણ અંગે શું કહ્યું?
Cricbuzz સાથેની ખાસ વાતચીતમાં અજિંક્ય રહાણેએ જણાવ્યું હતું કે, વિરાટ કોહલી વિશે જેટલી વાત કરીએ તેટલી ઓછી છે. મેં તેમને ખૂબ જ નજીકથી નિહાળ્યા છે. જ્યારે તે બેટિંગ કરવા મેદાનમાં ઉતરે છે ત્યારે તેમનું ઝનુન જોવા જેવું હોય છે. રહાણેએ ઉમેર્યું કે, વિરાટમાં જે શીખવાની ભૂખ અને ક્યારેય હાર ન માનવાનું જજ્બો છે, તે જ તેમને અન્ય ખેલાડીઓથી અલગ પાડે છે. બહારના લોકો કદાચ તેમને ઘમંડી કહી શકે, પણ વાસ્તવમાં તેવું નથી. કોહલી માત્ર પોતાની રમતમાં સંપૂર્ણપણે ડૂબી જાય છે.
શાંત રહેવાનો અર્થ અહંકાર નથી
રહાણેએ વિરાટની એક ખાસ આદત વિશે જણાવતા કહ્યું કે, મેચના 2 દિવસ પહેલા વિરાટ એક અલગ જ ઝોનમાં હોય છે. તે સમયે તેઓ ખૂબ ઓછું બોલે છે અને ટીમના અન્ય ખેલાડીઓ સાથે પણ બહુ વાતચીત કરતા નથી. તે પોતાના AirPods માં મનપસંદ સંગીત સાંભળે છે અને પોતાને રમત પર કેન્દ્રિત કરવાનો પ્રયત્ન કરે છે. રહાણેએ સ્પષ્ટ કર્યું કે, શાંત રહેવું કે કોઈની સાથે વાત ન કરવી એ અહંકારની નિશાની નથી, પરંતુ મેચ માટે એકાગ્રતા વધારવાની તેમની એક પદ્ધતિ છે.
નવા ખેલાડીઓ માટે વિરાટને સમજવા મુશ્કેલ
રહાણેએ સ્વીકાર્યું હતું કે ટીમના નવા સભ્યો ઘણીવાર વિરાટના આ વલણને જોઈને મુંઝવણમાં મુકાઈ જાય છે. જોકે, રહાણે પોતે સમજી જતા હતા કે વિરાટ ક્યારે પોતાનો ખાસ 'ઝોન' તૈયાર કરી રહ્યા છે. રહાણેના કહેવા મુજબ, ક્રિકેટમાં બધું જ હાંસલ કર્યા પછી પણ વિરાટમાં કંઈક નવું કરવાની અને ટીમ માટે યોગદાન આપવાની ઈચ્છા આજે પણ જીવંત છે. તેમની કાર્યશૈલી અને સતત પરિવર્તન કરવાની ક્ષમતા અદ્ભુત છે.
શાનદાર ફોર્મમાં કિંગ કોહલી
વર્તમાન સમયમાં વિરાટ કોહલી જબરદસ્ત ફોર્મમાં જોવા મળી રહ્યા છે. ન્યુઝીલેન્ડ સામેની પ્રથમ વનડે મેચમાં તેમણે 93 રનની આક્રમક ઇનિંગ રમી હતી, જેના માટે તેમને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો હતો. આ અગાઉ તેમણે વિજય હઝારે ટ્રોફીમાં સદી ફટકારી હતી અને દક્ષિણ આફ્રિકા સામેની શ્રેણીમાં પણ બે સદી નોંધાવી હતી. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની બીજી વનડે મેચ બુધવાર, 14 જાન્યુઆરીના રોજ રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાશે.





















