મધ્ય પૂર્વમાં તણાવ વધતા વૈશ્વિક હવાઈ સેવાઓ પર સીધી અસર જોવા મળી રહી છે. ઇઝરાઇલ અને અમેરિકા દ્વારા ઇરાન પર કરવામાં આવેલા હુમલાના પગલે સુરક્ષા કારણોસર અનેક દેશોએ હવાઈ સેવાઓ સ્થગિત કરી દીધી છે. આ પરિસ્થિતિમાં વડોદરાના યાત્રીઓ પણ ભારે મુશ્કેલીમાં મુકાયા છે. માહિતી મુજબ, સાઉદી અરેબિયાએ અચાનક કેટલીક આંતરરાષ્ટ્રીય ફ્લાઇટો રદ કરતાં જેદ્દાહ એરપોર્ટ પર વડોદરાના અનેક યાત્રીઓ અટવાઈ ગયા છે. કેટલાક યાત્રીઓ ઉમરાહ પૂર્ણ કરીને પરત ફરવાના હતા, જ્યારે કેટલાક અન્ય દેશોમાં કનેક્ટિંગ ફ્લાઇટ દ્વારા જવાના હતા. ફ્લાઇટો રદ થતાં તેઓને એરપોર્ટ પર જ રોકાવું પડ્યું છે.
હવાઈ માર્ગ પ્રભાવિત
બીજી તરફ, કનેક્ટિંગ ફ્લાઇટ દ્વારા યુરોપ અને અન્ય એશિયાઈ દેશોમાં જવાના યાત્રીઓ દુબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ફસાયા હોવાનું જાણવા મળે છે. એરલાઈન્સ તરફથી પૂરતી માહિતી ન મળતા અને વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં વિલંબ થતાં યાત્રીઓમાં ચિંતા અને અસંતોષ ફેલાયો છે. હોટેલ વ્યવસ્થા, ખોરાક અને આગામી ફ્લાઇટ અંગે અનિશ્ચિતતા સર્જાઈ છે. સાઉદી અરેબિયા દ્વારા સુરક્ષાના હેતુસર હવાઈ માર્ગો તાત્કાલિક બંધ કરવામાં આવ્યા હોવાનું સૂત્રો જણાવે છે. આંતરરાષ્ટ્રીય સ્તરે વધેલા સૈન્ય તણાવને કારણે અનેક એરલાઈન્સે મધ્ય પૂર્વના આકાશ માર્ગ ટાળ્યા છે, જેના કારણે વૈશ્વિક ઉડાનોના સમયપત્રકમાં મોટાપાયે ફેરફાર થયો છે.
જેદ્દાહ અને દુબઈ એરપોર્ટ પર વડોદરાના યાત્રીઓ ફસાયા
વડોદરાના યાત્રીઓએ ભારતીય દૂતાવાસ અને એરલાઈન્સ સાથે સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો છે. કેટલીક જગ્યાએ સહાયતા ડેસ્ક કાર્યરત કરવામાં આવ્યા હોવાનું કહેવાય છે, છતાં યાત્રીઓ ઝડપથી ઘરે પરત ફરી શકે તેવી આશા વ્યક્ત કરી રહ્યા છે.
આંતરરાષ્ટ્રીય રાજકીય તણાવનો સીધો પ્રભાવ સામાન્ય મુસાફરો પર પડતા, ફરી એકવાર વૈશ્વિક સંકટની અસર માનવીય સ્તરે સ્પષ્ટ દેખાઈ રહી છે.




















