Air purifier GST: દિલ્હીમાં વધતા પ્રદૂષણ વચ્ચે એર પ્યુરિફાયર પર GST ઘટાડીને 18%થી 5% કરવાની માંગ સાથેની જનહિત અરજીનો કેન્દ્ર સરકારે દિલ્હી હાઇકોર્ટમાં કડક વિરોધ કર્યો છે. સરકારે તર્ક આપ્યો કે એર પ્યુરિફાયરને આરોગ્ય મંત્રાલયે મેડિકલ ડિવાઇસ તરીકે વર્ગીકૃત કર્યું નથી, અને GST દરમાં ફેરફાર GST કાઉન્સિલની લાંબી પ્રક્રિયા દ્વારા જ થઈ શકે છે, જેને કોર્ટના આદેશથી બદલી શકાય નહીં.
આરોગ્ય મંત્રાલયના મતે એર પ્યુરિફાયર મેડિકલ ડિવાઇસ નથી
જસ્ટિસ વિકાસ મહાજન અને જસ્ટિસ વિનોદ કુમારની બેન્ચ સમક્ષ કેન્દ્ર તરફથી એડિશનલ સોલિસિટર જનરલ એન. વેંકટરામને જણાવ્યું કે આરોગ્ય મંત્રાલયના મતે એર પ્યુરિફાયર મેડિકલ ડિવાઇસ નથી. વધુમાં, GST દર નક્કી કરવામાં પરામર્શ, લાઇસન્સિંગ અને નિયમનકારી પ્રક્રિયા સામેલ છે, જેને રિટ અરજી દ્વારા ઉતાવળે પૂર્ણ કરી શકાય નહીં. તેમણે ચેતવણી આપી કે આવા ફેરફારથી અન્ય ક્ષેત્રોમાંથી સમાન માંગણીઓ ઊભી થશે અને 'પૅન્ડોરાનું બૉક્સ' ખુલશે.
કોર્ટ GST કાઉન્સિલને દરમાં ફેરફારનો આદેશ આપી શકે નહીં
સરકારે અરજીને 'કેલ્ક્યુલેટેડ' અને 'લોડેડ' ગણાવી, તેની પાછળના હેતુ પર પ્રશ્ન ઉઠાવ્યા અને કહ્યું કે કોર્ટ GST કાઉન્સિલને દરમાં ફેરફારનો આદેશ આપી શકે નહીં, તેની બેઠકો ફક્ત ફિઝિકલ જ થઈ શકે છે. બીજી તરફ, કોર્ટે પ્રદૂષણની ગંભીર સ્થિતિ અને તેની સ્વાસ્થ્ય પર અસરને ધ્યાનમાં રાખીને ચિંતા વ્યક્ત કરી. બેન્ચે કહ્યું કે એર પ્યુરિફાયરની કિંમત ₹10,000થી ₹15,000 (અથવા વધુ)ની વચ્ચે છે, જે ગરીબ પરિવારો માટે પરવડે તેમ નથી. "પ્રદૂષણ ગરીબ કે અમીરને નહીં જુએ, બધાને અસર કરે છે. તો તેને સસ્તું કેમ ન બનાવવું?
કેસની આગામી સુનાવણી 9 જાન્યુઆરીએ થશે
"અરજદાર વકીલ કપિલ મદનની દલીલ હતી કે એર પ્યુરિફાયરને લક્ઝરી નહીં, પરંતુ જરૂરી ઉપકરણ તરીકે જોવું જોઈએ અને તેને મેડિકલ ડિવાઇસની શ્રેણીમાં મૂકીને GST ઘટાડવો જોઈએ. કોર્ટે હાલ વચગાળાની રાહત આપવાનો ઇનકાર કર્યો અને કેન્દ્રને 10 દિવસમાં વિગતવાર જવાબ દાખલ કરવાનો આદેશ આપ્યો. કેસની આગામી સુનાવણી 9 જાન્યુઆરીએ થશે.આ મામલો દિલ્હી-એનસીઆરમાં વધતા પ્રદૂષણના સંકટ વચ્ચે મહત્વનો છે, જ્યાં એર પ્યુરિફાયરને અનેક લોકો જીવનરક્ષક ઉપકરણ માને છે.





















