અમદાવાદ: શહેરના વટવા વિસ્તારમાં સગીરા પર દુષ્કર્મ થયાનો ગંભીર મામલો સામે આવ્યો છે. પરિવારની ફરિયાદના આધારે વટવા પોલીસે ગુનો નોંધી 34 વર્ષીય આરોપીની ટેકનિકલ સર્વેલન્સના આધારે ધરપકડ કરી છે. સમગ્ર મામલે પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
પોલીસના જણાવ્યા મુજબ, ઘટના 30મી તારીખે બપોરના સમયે વટવાના ચારમાળિયા વિસ્તારમાં બની હતી. આરોપીએ સગીરાના પરિવારને પોતાના ઘરે ચા બનાવવામાં મદદ માટે સગીરાને મોકલવા કહ્યું હતું. ત્યારબાદ સગીરા ઘરે પરત ન ફરતા પરિવારને શંકા ગઈ હતી. જોકે તે સમયે સગીરાએ કોઈ માહિતી આપી નહોતી.
બીજા દિવસે પરિવારને ઘટનાની જાણ કરી
પોલીસના જણાવ્યા અનુસાર, બીજા દિવસે સગીરાએ પોતાની માતાને સમગ્ર ઘટનાની જાણ કરી હતી. ત્યારબાદ પરિવાર તાત્કાલિક વટવા પોલીસ સ્ટેશન પહોંચ્યો અને ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.
આ પણ વાંચો: ચૈતર વસાવાને છોડાવવા ધોધમાર વરસાદ વચ્ચે આદિવાસીઓ ઉમટ્યાં : ડેડીયાપાડામાં આદિવાસી મહાસંમેલન, ગુજરાતમાં AAPનું એપી સેન્ટર બન્યું નર્મદા
વટવા પોલીસ ઇન્સ્પેક્ટર એ. એ. વછેટાએ જણાવ્યું કે, "30મી તારીખે બનેલી ઘટનાની જાણ પરિવાર દ્વારા 1લી તારીખે કરવામાં આવી હતી. ફરિયાદ મળતાં જ પોલીસ દ્વારા તાત્કાલિક ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપીને ઝડપી લેવામાં આવ્યો."
આરોપીની ધરપકડ, તપાસ યથાવત્
પોલીસના જણાવ્યા મુજબ, આરોપી ઇમ્તિયાઝ શેખ (ઉંમર 34) મજૂરી કામ કરે છે, પરણિત છે અને તેને ચાર સંતાન છે. પોલીસ હાલ કેસના તમામ પાસાઓની તપાસ કરી રહી છે અને જરૂરી પુરાવા એકત્રિત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પોલીસે જણાવ્યું છે કે સગીરાઓ સાથે સંબંધિત કેસોમાં તેમની ઓળખ જાહેર ન કરવી કાયદેસર ફરજ છે. સમગ્ર મામલે વધુ તપાસ ચાલુ છે અને તપાસના આધારે આગળની કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.





