Ahmedabad News: અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં ગેરકાયદે ચાલી રહેલી ફટાકડાની ફેક્ટરીમાં થયેલા ભયાનક વિસ્ફોટ બાદ પોલીસ તંત્રે કડક કાર્યવાહી હાથ ધરી છે. રામોલ પોલીસ સ્ટેશનમાં 'ન્યૂ ગુજરાત ફાયર વર્ક્સ'ના સંચાલકો સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) તથા વિસ્ફોટક સંબંધિત વિવિધ કાયદાઓ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ફેક્ટરી કોઈપણ માન્ય પાસ-પરમિટ કે લાયસન્સ વિના ચલાવવામાં આવી રહી હતી અને સુરક્ષાના નિયમોની ગંભીર અવગણના કરવામાં આવી હતી.
18 જુલાઈએ રામોલ-ગતરાડ રોડ નજીક આવેલા ખેતર વિસ્તારમાં આ ગેરકાયદે ફેક્ટરીમાં થયેલા પ્રચંડ બ્લાસ્ટમાં 9 લોકોના મોત થયા હતા. મૃતકોમાં ત્રણ બાળકોનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત અનેક લોકો ગંભીર રીતે દાઝ્યા અને ઇજાગ્રસ્ત થયા હતા. બ્લાસ્ટ એટલો શક્તિશાળી હતો કે તેનો અવાજ લગભગ પાંચ કિલોમીટર સુધી સંભળાયો હતો અને આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
પાસ-પરમિટ વિના ચલાવવામાં આવતી ફેક્ટરી સામે ગુનો
પોલીસ ફરિયાદ મુજબ, વસ્ત્રાલ ગામના સર્વે નંબર 629/1/2/3ની જમીન ભાડે રાખીને ગેરકાયદે રીતે ફટાકડા બનાવવાનું કારખાનું ચલાવવામાં આવતું હતું. તપાસ દરમિયાન ખુલાસો થયો છે કે જરૂરી સરકારી મંજૂરી, લાયસન્સ અને સલામતીના માપદંડોનું પાલન કર્યા વિના અહીં વિસ્ફોટક સામગ્રીનું ઉત્પાદન અને સંગ્રહ કરવામાં આવતો હતો. આ મામલે નોંધાયેલી એફઆઈઆરમાં મેહુલ ડોડીયા, તેમની માતા અને ફેક્ટરીના સંચાલક રમીલાબેન ડોડીયા તેમજ ભાગીદાર સાદીક સૈયદને આરોપી બનાવવામાં આવ્યા છે. ફરિયાદમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે તપાસ દરમિયાન અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી સામે આવશે તો તેમને પણ આરોપી તરીકે સામેલ કરવામાં આવશે.
આર્થિક લાભ માટે માનવજીવન જોખમમાં મૂક્યાનો આરોપ
પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીઓએ માત્ર આર્થિક લાભ મેળવવાના હેતુથી કાયદાના નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું. ફેક્ટરીમાં વિસ્ફોટક પદાર્થો સાથે કામ કરવા માટે જરૂરી સુરક્ષા વ્યવસ્થા, આગ નિવારણના સાધનો અને કાનૂની મંજૂરીનો અભાવ હતો. આવી ગંભીર બેદરકારીના કારણે નિર્દોષ શ્રમિકોએ જીવ ગુમાવ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. દુર્ઘટના સમયે ફેક્ટરીમાં મોટી સંખ્યામાં શ્રમિકો હાજર હતા. બ્લાસ્ટ બાદ ફેક્ટરીનો મોટો ભાગ ધરાશાયી થઈ ગયો હતો અને અનેક લોકો કાટમાળ નીચે દટાઈ ગયા હતા. ફાયર બ્રિગેડ, SDRF અને સ્થાનિક પોલીસની ટીમોએ કલાકો સુધી બચાવ કામગીરી ચલાવી હતી.
આ પણ વાંચો: રાજકોટમાં સગીરા પર ત્રણ વર્ષ સુધી દુષ્કર્મનો આરોપ : લગ્નનું વચન આપી શોષણ કર્યાનો આક્ષેપ
BNS અને વિસ્ફોટક કાયદા હેઠળ કડક કલમો
રામોલ પોલીસે આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 105, 287, 288 અને 61(2) હેઠળ ગુનો નોંધ્યો છે. ઉપરાંત, વિસ્ફોટક પદાર્થ અધિનિયમ-1908ની કલમ 5(એ) અને 6 તેમજ વિસ્ફોટક અધિનિયમ-1884ની કલમ 9(બી) હેઠળ પણ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. તપાસ એ દિશામાં પણ આગળ વધી રહી છે કે ગેરકાયદે ફેક્ટરી કેટલા સમયથી કાર્યરત હતી, વિસ્ફોટક સામગ્રી ક્યાંથી લાવવામાં આવતી હતી અને સંબંધિત વિભાગોની જાણ બહાર આ એકમ કેવી રીતે ચાલતું રહ્યું. પોલીસ પુરાવા એકત્ર કરવાની સાથે જવાબદાર તમામ લોકોની ભૂમિકા તપાસી રહી છે.
આ પણ વાંચો: ગુજરાતમાં ફરી મેઘમહેર : અમદાવાદ સહિત 82 તાલુકામાં વરસાદ, આગામી 6 દિવસ માટે હવામાન વિભાગની મોટી આગાહી






