Ahmedabad News: અમદાવાદમાં આમ આદમી પાર્ટી (AAP) ગુજરાત પ્રદેશ કાર્યાલય ખાતે અયોધ્યાના શ્રી રામ મંદિરમાં કથિત દાનચોરીના મામલાને લઈને હનુમાન ચાલીસા અને સુંદરકાંડના પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન ભગવાન રામના ભક્તોની આસ્થાને ઠેસ પહોંચાડનાર દોષિતોને કડકમાં કડક સજા મળે તેમજ આવી ઘટના ફરી ન બને તે માટે પ્રાર્થના કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, ગુજરાતના સહ-પ્રભારી પવન શર્મા, પ્રદેશ મંત્રી અનુપ શર્મા, પ્રદેશ પ્રવક્તા હિમાંશુ ઠક્કર સહિત મોટી સંખ્યામાં પાર્ટીના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. તમામે મળીને હનુમાન ચાલીસા અને સુંદરકાંડનું પાઠન કર્યું અને ધાર્મિક ભાવના સાથે પ્રાર્થના કરી.
દાનચોરી મામલે ઉઠાવ્યા ગંભીર સવાલો
કાર્યક્રમને સંબોધતા ઈસુદાન ગઢવીએ અયોધ્યા રામ મંદિર સાથે જોડાયેલા કથિત દાનચોરીના મામલે અનેક પ્રશ્નો ઉઠાવ્યા હતા. તેમણે જણાવ્યું કે હાઈ-સિક્યુરિટી ધરાવતા મંદિર પરિસરમાં કરોડો રૂપિયાની ચોરી કેવી રીતે થઈ શકે તે ગંભીર તપાસનો વિષય છે. તેમણે કહ્યું કે, જો મંદિર પરિસરમાં સુરક્ષાના કડક બંદોબસ્ત હોવા છતાં આવી ઘટના બને છે તો સમગ્ર વ્યવસ્થાની પારદર્શિતા અંગે પ્રશ્નો ઊભા થાય છે. તેમના મતે સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ અને જવાબદાર વ્યક્તિઓ સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવી જોઈએ.
આ પણ વાંચો: રાજકોટમાં સોનમ વાંગચૂકના સમર્થનમાં યુવાનોનાં ધરણા : સરકારને કરી મોટી અપીલ
'દાનમાં રસ હતો, મંદિરમાં નહીં' – ઈસુદાન ગઢવી
ઈસુદાન ગઢવીએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે શરૂઆતથી જ તેમને આશંકા હતી કે કેટલાક લોકોને ભગવાન રામના મંદિર કરતાં મંદિરના દાનમાં વધુ રસ હતો. તેમણે દાવો કર્યો કે અગાઉ જમીન ખરીદી-વેચાણ સહિતના મુદ્દાઓમાં પણ પ્રશ્નો ઊભા થયા હતા અને હવે દાનચોરીના મામલાએ ફરી ગંભીર શંકાઓ ઊભી કરી છે. તેમણે આરોપ લગાવ્યો કે સમગ્ર મામલામાં મોટા લોકોની સંડોવણી હોવાની શંકા વ્યક્ત થઈ રહી છે અને તપાસના નામે સત્યને ઢાંકવાનો પ્રયાસ થઈ શકે છે. જોકે, આ આરોપો અંગે સંબંધિત પક્ષ તરફથી કોઈ સત્તાવાર પ્રતિભાવ જાહેર થયો નથી.
10 દિવસ સુધી હનુમાન ચાલીસા પાઠનું આયોજન
ઈસુદાન ગઢવીએ જાહેરાત કરી કે આવતીકાલથી આગામી 10 દિવસ સુધી આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ પોતાના ઘર, સોસાયટી અને વિસ્તારોમાં હનુમાન ચાલીસાના પાઠનું આયોજન કરશે. તેમણે જણાવ્યું કે આ કાર્યક્રમનો હેતુ માત્ર ધાર્મિક પાઠ કરવાનો નથી, પરંતુ ભગવાન રામના ભક્તોને સમગ્ર ઘટનાની માહિતી પહોંચાડવાનો અને દોષિતોને સજા મળે તે માટે પ્રાર્થના કરવાનો છે.
આ પણ વાંચો: સુરત નવી સિવિલ હોસ્પિટલના તબીબોની મોટી સિદ્ધિ : 11 માસની બાળકીના ગળામાંથી કાપકૂપ વગર કાઢી કાનની બુટ્ટી
હસ્તાક્ષર અભિયાન પણ ચલાવાશે
આમ આદમી પાર્ટીએ જણાવ્યું કે હનુમાન ચાલીસાના કાર્યક્રમો દરમિયાન સ્થાનિક લોકોને આમંત્રિત કરવામાં આવશે અને તેમને આ મુદ્દે પાર્ટીનો અભિપ્રાય સમજાવવામાં આવશે. જે લોકો પાર્ટીની માંગ સાથે સહમત હશે તેમની પાસેથી હસ્તાક્ષર પણ લેવામાં આવશે. પાર્ટીનું કહેવું છે કે આ હસ્તાક્ષર અભિયાન દ્વારા લોકોની લાગણી અને માંગ સંબંધિત તંત્ર સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવશે.
ધાર્મિક આસ્થા અને પારદર્શિતાનો મુદ્દો
કાર્યક્રમ દરમિયાન AAPના નેતાઓએ જણાવ્યું કે ભગવાન રામના મંદિરમાં દેશ-વિદેશમાંથી લાખો શ્રદ્ધાળુઓ દાન આપે છે. તેથી મંદિર સાથે જોડાયેલા તમામ આર્થિક વ્યવહારોમાં સંપૂર્ણ પારદર્શિતા હોવી જોઈએ.
તેમણે ભારપૂર્વક કહ્યું કે ધાર્મિક સ્થળો પ્રત્યે લોકોની આસ્થા જળવાઈ રહે તે માટે કોઈપણ પ્રકારની ગેરરીતિ સામે કડક કાર્યવાહી અનિવાર્ય છે.





