Ahmedabad to Mumbai Bullet Train: ભારતની પ્રથમ બુલેટ ટ્રેન સેવા હવે ટૂંક સમયમાં શરૂ થવાની તૈયારીમાં છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે Gujarat ના ભાવનગરમાં જણાવ્યા પ્રમાણે, મુંબઈથી અમદાવાદનું અંતર હવે માત્ર 2 કલાક અને 7 મિનિટમાં કાપી શકાય તેમ બનશે. આ હાઇસ્પીડ ટ્રેન 508 કિમી અંતર કાપશે અને તેની ગતિ પ્રતિ કલાક 320 કિમી રહેશે.
ટ્રેન મુંબઈના બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ (BKC) થી શરૂ થઈને વાપી, સુરત, વડોદરા, આણંદ અને અમદાવાદ સુધી જશે. ભારત જેવી વસતીઘન દેશમાં આવું તંત્ર બનાવવા એક મોટી સિદ્ધિ માનવામાં આવી રહી છે. આ પ્રસંગે રેલવે મંત્રીએ અનેક નવી ટ્રેનોનું વર્ચ્યુઅલ લોકાર્પણ પણ કર્યું જેમાં ભાવનગરથી અયોધ્યા એક્સપ્રેસ, રેવા-પુણે અને જબલપુર-રાયપુર એક્સપ્રેસનો સમાવેશ થાય છે.
ગુજરાત માટે ખાસ કરીને રેલવે ક્ષેત્રે અનેક નવી યોજનાઓ જાહેર કરવામાં આવી છે જેમાં પોરબંદર-રાજકોટ નવી ટ્રેન સેવા, રાણાવાવમાં ₹135 કરોડની કોચ જાળવણી સુવિધા અને ભાવનગરના નવા બંદર પર કન્ટેનર ટર્મિનલનો સમાવેશ થાય છે.
મોદી સરકારે છેલ્લા 11 વર્ષમાં 34,000 કિમીથી વધુ નવી રેલવે લાઈનો નાખી છે અને રોજે રોજ અંદાજે 12 કિમી નવી લાઇન બાંધવામાં આવી રહી છે. રેલવે મંત્રીએ કહ્યું કે વંદે ભારત, અમૃત ભારત અને નમો ભારત જેવી આધુનિક ટ્રેનોને દેશભરમાં વધારવામાં આવી રહી છે, જેમાં મુસાફરોને ઝડપ, આરામ અને સલામતીની ખાતરી મળે છે.






