Ahmedabad Blast Case: 26 જુલાઈ 2008નો એ દિવસ અમદાવાદ અને સમગ્ર દેશ માટે કાળો દિવસ હતો, જ્યારે ક્રમિક બોમ્બ ધડાકાઓએ અનેક નિર્દોષ નાગરિકોના જીવ લીધા હતા અને સેંકડો લોકોને અપંગ બનાવી દીધા હતા. આતંકવાદીઓએ અમદાવાદ શહેર તેમજ સુરતની અંદર જ બોમ્બ પ્લાન્ટ કર્યા હતા. આ ભયાનક આતંકવાદી કાવતરાના કેસમાં નામદાર ગુજરાત હાઈકોર્ટની ડિવિઝન બેન્ચ દ્વારા આજે એક અત્યંત મહત્વપૂર્ણ અને ઐતિહાસિક ચુકાદો આપવામાં આવ્યો છે. આ ચુકાદો માત્ર ગુજરાત માટે જ નહીં, પરંતુ ભારત અને વિશ્વના તમામ શાંતિપ્રિય દેશો માટે આતંકવાદ સામેની લડાઈમાં એક કાયદાકીય સીમાચિહ્નરૂપ વિજય સાબિત થયો છે.
અદાલતી સજા અને હાઈકોર્ટ દ્વારા મહોર
આ કેસની કાયદાકીય સફર લાંબી અને જટિલ રહી છે. 18 ફેબ્રુઆરી 2022ના રોજ સ્પેશિયલ સેશન્સ કોર્ટના ન્યાયાધીશ એ.આર. પટેલ સાહેબે આ કેસમાં ઐતિહાસિક ચુકાદો આપતાં કુલ 49 તોમતદારોને દોષિત ઠેરવ્યા હતા. જેમાંથી 38 તોમતદારોને ફાંસીની સજા (મૃત્યુદંડ) ફરમાવવામાં આવી હતી. 11 તોમતદારોને આજીવન કેદ એટલે કે જીવે ત્યાં સુધીની જેલની સજા કરવામાં આવી હતી.
ટ્રાયલ કોર્ટના આ આકરા હુકમ બાદ કાયદાકીય પ્રક્રિયાના ભાગરૂપે આ કેસ ડેથ સેન્ટેન્સ કન્ફર્મેશન અને આરોપીઓની અપીલ માટે નામદાર ગુજરાત હાઈકોર્ટની ડિવિઝન બેન્ચ સમક્ષ ચાલુ હતો. હાઈકોર્ટમાં ૨૫ માર્ચથી આ કેસની સુનાવણી રોજબરોજના (Day-to-Day) ધોરણે શરૂ થઈ હતી અને છેલ્લા જાન્યુઆરી મહિનાથી સવારથી સાંજ સુધી ‘ફૂલ ડે’ સુનાવણી હાથ ધરવામાં આવી હતી.
આજે હાઈકોર્ટે આ તમામ દલીલો અને પુરાવાઓ ધ્યાને લઈ ટ્રાયલ કોર્ટના હુકમને સંપૂર્ણપણે કન્ફર્મ (માન્ય) રાખ્યો છે. અદાલતે તમામ ૩૮ આરોપીઓની ફાંસીની સજા અને ૧૧ આરોપીઓની આજીવન કેદની સજા યથાવત રાખી છે. જો કે, ચુકાદો હજુ સત્તાવાર વેબસાઈટ પર અપલોડ થવાનો બાકી હોવાથી તેની વિગતવાર નકલોનો અભ્યાસ બાકી છે, પરંતુ કોર્ટે નીચલી અદાલતના ન્યાયને યોગ્ય ઠેરવ્યો છે તે સ્પષ્ટ છે.
પીડિતો માટે વળતરમાં મોટો વધારો
નામદાર ગુજરાત હાઈકોર્ટે આ ચુકાદામાં માનવતાવાદી અભિગમ અપનાવીને પીડિતોના વળતર (Compensation) ની રકમમાં નોંધપાત્ર વધારો કર્યો છે. આ બ્લાસ્ટમાં જે નિર્દોષ નાગરિકો ગુજરી ગયા છે, તેમના પરિવારોને 10 લાખ રૂપિયાનું વળતર આપવા રાજ્ય સરકારને હુકમ કરાયો છે. આ વળતરની રકમ 31 માર્ચ 2027 સુધીમાં ચૂકવી આપવાની કડક સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે.
સુરેન્દ્રનગરમાં વરસાદ વચ્ચે વીજ પોલ બન્યો જીવલેણ : કરંટ લાગતાં ભેંસનું મોત, PGVCL સામે લોકોમાં રોષ
આ ઉપરાંત, જે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત (Severe Injured) થયા હતા, તેમના પરિવારોને 5 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવાનો આદેશ કરાયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ગુજરાત સરકાર દ્વારા આ સંવેદનશીલ ચુકાદાને આવકારીને ન્યાયિક આદેશ મુજબ પીડિતોને આ વળતર તાત્કાલિક ધોરણે મળી રહે તે માટે ઝડપી અમલીકરણની ખાતરી આપવામાં આવી છે.
ક્રાઈમ બ્રાન્ચનું અજોડ ઇન્વેસ્ટિગેશન અને પડકારો
આ કેસ માત્ર કાયદાકીય રીતે જ નહીં, પણ તપાસની દ્રષ્ટિએ પણ અત્યંત કપરો હતો. તે સમયે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ માટે આ કેસ એક મોટી પ્રતિષ્ઠાનો સવાલ હતો. તપાસ અધિકારીઓની ટીમે શરૂઆતના ત્રણ મહિના સુધી ઘરના પગથિયાં પણ જોયા નહોતા અને સળંગ ચોવીસ કલાક કામગીરી કરી હતી.
આ કેસની વિશાળતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય કે અલગ-અલગ તબક્કે પકડાયેલા આરોપીઓ વિરુદ્ધ જુદા-જુદા ભાગોમાં અંદાજે 246 જેટલી ચાર્જશીટો દાખલ કરવામાં આવી હતી અને કોર્ટની પ્રક્રિયા માટે અંદાજે 10 લાખ જેટલી નકલો (Photocopies) તૈયાર કરવામાં આવી હતી.
ફરજની પરાકાષ્ઠાનું ઉદાહરણ
તપાસ દરમિયાન અધિકારીઓએ આપેલા વ્યક્તિગત ભોગની અનેક વાતો છે. એક તપાસ અધિકારી જ્યારે આ કેસના મુખ્ય આરોપીઓ પૈકીના એકને પકડીને જયપુર થઈને વારાણસી તપાસ માટે લઈ જઈ રહ્યા હતા, ત્યારે જ જયપુર નજીક તેમને મધર (માતા) અવસાન પામ્યા હોવાના અત્યંત દુઃખદ સમાચાર મળ્યા. આવી સ્થિતિમાં જયપુરથી પરત આવવું અશક્ય હતું. તેમના મોટાભાઈએ પણ હિંમત આપતા ફોન પર જણાવ્યું કે, "તમે વારાણસી જાઓ છો તો દેશની સુરક્ષા માટે ત્યાં જઈને જ બધી કાનૂની વિધિ પૂર્ણ કરો." અધિકારીએ માતૃશોક બાજુ પર મૂકીને પોતાની રાષ્ટ્રીય ફરજને સર્વોચ્ચ મહત્વ આપ્યું અને સીધા વારાણસી ગયા. આ પ્રકારના સમર્પણના કારણે જ આજે તપાસ પર અદાલતે મહોર લગાવી છે.
કઈ રીતે પકડાઈ કડી? ટેકનિકલ અને વૈજ્ઞાનિક પુરાવા
તપાસ ટીમને સૌથી પહેલી સફળતા 16 ઓગસ્ટના રોજ મળી હતી. ક્રાઈમ બ્રાન્ચે આ દિવસે મુખ્ય આરોપી ઝાહિદ કુતુબુદ્દીન અને તેની સાથે અન્ય 14 થી 15 સંદિગ્ધોની ધરપકડ કરી હતી. તેમની સઘન પૂછપરછ દરમિયાન જ આખા આતંકવાદી નેટવર્કની કડીઓ એક પછી એક ખુલતી ગઈ. આ કેસના ઇન્વેસ્ટિગેશનમાં તત્કાલીન ઉચ્ચ પોલીસ અધિકારી આશિષ ભાટિયા સાહેબ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓના સુપરવિઝન હેઠળ 4 મુખ્ય ઇન્વેસ્ટિગેશન ઓફિસર્સ (IOs)ની એક સ્પેશિયલ ટીમ બનાવવામાં આવી હતી. આ ટીમે દેશના જુદા-જુદા રાજ્યોમાં ફરીને પુરાવા એકત્રિત કર્યા હતા.
કોર્ટ સમક્ષ સરકારી પક્ષે રજૂ કરેલા મજબૂત પુરાવાઓમાં નીચેની બાબતો સામેલ હતી..
1. ઇન્ટરસ્ટેટ કોર્ડિનેશન: દેશના ઇતિહાસમાં પ્રથમ વખત ગુજરાત પોલીસ, અન્ય રાજ્યોની પોલીસ અને કેન્દ્રીય એજન્સીઓ વચ્ચે આવું અદભુત સંકલન જોવા મળ્યું.
2. ટેકનિકલ સર્વેલન્સ: તપાસની શરૂઆતમાં પોલીસને માત્ર એક શંકાસ્પદ ફોન નંબર મળ્યો હતો. એ એક નંબરના આધારે વૈજ્ઞાનિક પદ્ધતિથી બીજા પાંચ નંબર શોધાયા, જેના કારણે માત્ર ગુજરાત જ નહીં, પરંતુ દેશના અન્ય રાજ્યોમાં થયેલા બ્લાસ્ટના ગુનાઓ પણ ડિટેક્ટ થયા.
3. ટ્રેનિંગ કેમ્પના પુરાવા: આતંકીઓએ બ્લાસ્ટ પહેલાં હાલોલ નજીક આવેલા પાવાગઢ-વાઘમોડના જંગલોમાં જે આતંકવાદી ટ્રેનિંગ કેમ્પ યોજ્યા હતા, તેના સજ્જડ પુરાવા કોર્ટ સમક્ષ રજૂ કરાયા.
4. ખરીદી અને લોજિસ્ટિક્સ: બોમ્બ બનાવવા માટે વપરાયેલા ગેસ સિલિન્ડરો ક્યાંથી ખરીદાયા, ગાડીઓ કઈ રીતે ચોરી કરીને બોમ્બ પ્લાન્ટ કરવા માટે કઈ કઈ જગ્યાએ મૂકવામાં આવી, તે તમામ ઘટનાક્રમ સિલસિલાબંધ રીતે સાબિત કરવામાં આવ્યો.
આતંકવાદ સામે કડક સંદેશ
આ ઐતિહાસિક ચુકાદાથી એ સાબિત થઈ ગયું છે કે ભારતીય ન્યાયતંત્ર અને તપાસ એજન્સીઓ ધારે તો ગમે તેવા જટિલ આતંકવાદી કાવતરાના મૂળ સુધી પહોંચીને ગુનેગારોને ફાંસીના માચડે લટકાવી શકે છે. ઇન્વેસ્ટિગેશન ટીમે વર્ષો સુધી કોઈ પણ પ્રકારની બાંધછોડ કે ક્ષતિ (Error) વિના જે પરિશ્રમ કર્યો, તેનું જ પરિણામ આજે આપણી સામે છે.
ગુજરાત હાઈકોર્ટનો આ ચુકાદો આતંકવાદી સંગઠનો અને ભારત વિરોધી તત્વો માટે એક સ્પષ્ટ અને કડક સંદેશ છે કે ભારતીય સરહદ અને ગુજરાતની ધરતી પર આતંકવાદ માટે કોઈ સ્થાન નથી. આ કાયદાકીય વિજયથી 2008ના બ્લાસ્ટમાં જીવ ગુમાવનારા અનેક નિર્દોષ આત્માઓને સાચા અર્થમાં શાંતિ મળશે અને તેમના ન્યાય માટે ટળવળતા પરિવારોને આખરે ન્યાયનો સંતોષ મળ્યો છે.





