અમદાવાદમાં થયેલા ભયાનક પ્લેન ક્રેશ મામલે હવે એક પછી એક ગંભીર ખુલાસા થઈ રહ્યા છે. અમેરિકી રિપોર્ટના આધારે સામે આવ્યું છે કે, દુર્ઘટનાગ્રસ્ત એર ઇન્ડિયાનું બોઇંગ 787 વિમાન અગાઉ પણ અનેક વખત ખરાબ થઈ ચૂક્યું હતું અને તેમાં ગંભીર તકનીકી ખામીઓ હતી. અમેરિકા સ્થિત ફાઉન્ડેશન ફોર એવિએશન સેફ્ટી (FAS) એ દાવો કર્યો છે કે વિમાનમાં ઇલેક્ટ્રિકલ સિસ્ટમ ફેઇલ થવાથી એક પછી એક ઘણી મહત્વની સિસ્ટમ બંધ થઈ ગઈ હતી, જેના કારણે આ ભયાનક અકસ્માત સર્જાયો હોવાની શક્યતા છે.
'2014થી જ તેમાં સતત ટેકનિકલ ખામીઓ સામે આવતી રહી'
રિપોર્ટ મુજબ, આ દુર્ઘટનામાં કુલ 260 લોકોના મોત થયા હતા. વિમાન ટેકઓફ થયા બાદ થોડા જ સેકન્ડમાં અમદાવાદના રહેણાંક વિસ્તારમાં પડી ગયું હતું, જેના કારણે ભારે જાનહાનિ થઈ હતી. FASનું કહેવું છે કે આ બોઇંગ 787 વિમાન 2014થી ઉડ્ડયનમાં ઉપયોગમાં લેવાઈ રહ્યું હતું અને 2014થી જ તેમાં સતત ટેકનિકલ ખામીઓ સામે આવતી રહી હતી. શરૂઆતથી જ વિમાનમાં વારંવાર સિસ્ટમ સંબંધિત સમસ્યાઓ નોંધાઈ હતી.
'અન્ય દેશોમાં પણ બોઇંગ 787 વિમાનોને લઈને ફરિયાદો નોંધાઈ'
આ ઉપરાંત વર્ષ 2022માં ઉડાન દરમિયાન આ જ વિમાનમાં આગ લાગવાની ઘટના પણ બની હોવાનું રિપોર્ટમાં જણાવાયું છે. FASનો આરોપ છે કે આવી ગંભીર ઘટનાઓની જાણકારી જાહેર કરવામાં આવી ન હતી. માત્ર ભારતમાં જ નહીં, પરંતુ અન્ય દેશોમાં પણ બોઇંગ 787 વિમાનોને લઈને ફરિયાદો નોંધાઈ છે. રિપોર્ટ અનુસાર, 787 શ્રેણીના વિમાનોમાં લગભગ 2,000 જેટલી નિષ્ફળતાઓ અને ટેકનિકલ ખામીઓ અંગે ફરિયાદો નોંધાઈ ચૂકી છે. આ તમામ ખુલાસાઓ બાદ વિમાનની સુરક્ષા અને જાળવણી અંગે ગંભીર સવાલો ઊભા થયા છે.




















