Ahmedabad News: 9 જુલાઈના રોજ સાંજે આશરે સવા આઠ વાગ્યે વિવેકાનંદનગર પોલીસ સ્ટેશન વિસ્તારના હાથીજણ વિસ્તારમાં એક બનાવ બન્યો હતો. ભોગ બનનાર નંદુભાઈ મુદાલિયાર મૂળ તમિલનાડુના રહેવાસી છે, પરંતુ તેમની ફેમિલી ઘણા વર્ષોથી અમદાવાદમાં રહે છે.
નંદુભાઈ તેમની દુકાને આવ્યા હતા ત્યારે ત્રણ શખ્સોએ તેમના પર હુમલો કર્યો હતો. એલ.જી. હોસ્પિટલમાંથી જાણ થઈ હતી કે તેમને છ સ્ટેબિંગ વૂન્ડ્સ સાથે ગંભીર હાલતમાં દાખલ કરવામાં આવ્યા છે. ત્યારબાદ પોલીસે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન સીસીટીવી ફૂટેજ તેમજ ટેકનિકલ એનાલિસિસના આધારે અનેક મોબાઇલ નંબર મળ્યા હતા. હોસ્પિટલમાં ભોગ બનનારનું ડાઇંગ ડિક્લેરેશન લેવામાં આવ્યું હતું, જેમાં એક શકમંદનું નામ સામે આવ્યું હતું. તેની પૂછપરછ અને ટેકનિકલ પુરાવાના આધારે મુખ્ય આરોપી તરીકે વકીલ રાજેશ મહીડાનું નામ સામે આવ્યું.
રાજેશ મહીડાએ ત્રણ લોકોને સુપારી આપી હતી. આરોપીઓમાં અઝરુદ્દીન ઉર્ફે મામા ઉર્ફે શેખ, સરવ ઉર્ફે બટ્ટમ અને ઇમ્તિયાઝ શેખનો સમાવેશ થાય છે. ઇમ્તિયાઝને હુમલો કરવા માટે ₹20,000 આપવામાં આવ્યા હતા, જ્યારે અઝરુદ્દીન અને સરવને ₹5,000-₹5,000 આપવામાં આવ્યા હતા. ઇમ્તિયાઝે છરીના ઘા માર્યા હતા, જ્યારે અઝરુદ્દીન અને સરવે એક દિવસ પહેલાં ઘટનાસ્થળની રેકી કરી હતી. ઘટનાના દિવસે તેઓ ભાડાની કાર લઈને આવ્યા હતા અને ત્રણેયે મળીને ગુનાને અંજામ આપ્યો હતો.
આ કેસમાં કુલ ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમાંથી ત્રણ આરોપીઓ હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે, જ્યારે એક આરોપી પોલીસ કસ્ટડીમાં છે. હુમલા પાછળનું મુખ્ય કારણ ₹4 લાખની હાથઉછીની રકમ હતી. ભોગ બનનારે મુખ્ય આરોપી રાજેશ મહીડાને ₹4 લાખ આપ્યા હતા અને વારંવાર તેની ઉઘરાણી કરતા હતા. ઉપરાંત, રાજેશ મહીડાનું ઘર પણ ભોગ બનનારે ગીરવે રાખ્યું હતું. ભોગ બનનાર પૈસા પરત આપવા અથવા ઘર પોતાના નામે કરવા દબાણ કરતા હોવાથી તેનાથી છૂટકારો મેળવવા માટે સુપારી આપી હુમલો કરાવવામાં આવ્યો હતો.
આરોપીઓ ગુનો કર્યા બાદ પોતાના જ વિસ્તારમાં રહ્યા હતા. ટેકનિકલ એનાલિસિસના આધારે તેમની લોકેશન કન્ફર્મ થતાં તમામને ટ્રેસ કરીને ઝડપી લેવામાં આવ્યા હતા. મુખ્ય આરોપી રાજેશ મહીડાની પણ તેના ઘરેથી ધરપકડ કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં e-Cop સિસ્ટમમાં આરોપીઓ સામે અગાઉ કોઈ ગુનો નોંધાયેલો જોવા મળ્યો નથી. તેમ છતાં તમામ પોલીસ સ્ટેશનોમાં તેમના જૂના રેકોર્ડ અંગે તપાસ ચાલુ છે.
અમરેલી: સાવરકુંડલામાં દેશી હર્બલ ફટાકડા બનાવતી વખતે વિસ્ફોટ : 17 વર્ષીય યુવકનું સારવાર દરમિયાન મોત
રાજેશ મહીડાએ જણાવ્યું હતું કે તેણે લવ મેરેજ વખતે પૈસાની જરૂર હોવાથી ₹4 લાખ હાથઉછીના લીધા હતા. અગાઉ તે ક્રેડિટ કાર્ડના વ્યવસાય સાથે સંકળાયેલો હતો અને ખરાબ CIBIL સ્કોરને કારણે તેને ક્યાંયથી લોન મળી શકતી ન હતી, તેથી તેણે ભોગ બનનાર પાસેથી રકમ લીધી હતી. ભોગ બનનાર નંદુભાઈ મુદાલિયાર વર્ષ 1998ના હત્યાના કેસમાં આરોપી રહ્યા હતા અને તેમને કોર્ટ દ્વારા સજા પણ થઈ હતી. વર્ષ 2014માં તેમને જામીન મળ્યા હતા. બાદમાં તેઓ કરિયાણાની દુકાન ચલાવતા હતા. કોર્ટ સંબંધિત કામમાં રાજેશ મહીડા તેમની મદદ કરતો હોવાથી બંને વચ્ચે ઓળખાણ થઈ હતી.
સુપારી લેનારા અઝરુદ્દીન, સરવ અને ઇમ્તિયાઝ પણ કોર્ટના કામકાજ દરમિયાન રાજેશ મહીડાના સંપર્કમાં આવ્યા હતા. ત્યારબાદ ચારેયે મળીને આ ગુનાનું કાવતરું રચ્યું હતું. રાજેશ મહીડાનો મૂળ ઈરાદો ભોગ બનનારની હત્યા કરવાનો નહોતો. તેની યોજના એવી હતી કે ભોગ બનનારને એવી ઇજા પહોંચાડવામાં આવે કે તેઓ 15થી 20 દિવસ સુધી પથારીવશ રહે અને તે દરમિયાન પૈસાની વ્યવસ્થા થઈ જાય. આ યોજના મુજબ સમગ્ર ગુનાને અંજામ આપવામાં આવ્યો હતો.





