એકતરફ વારંવાર પડતો કમોસમી વરસાદ, બીજી તરફ પાકમાં લાગતા રોગથી જગતનો તાત પહેલેથી પરેશાન હોય છે. ત્યારે આટલું બાકી હતું, તો IFFCOએ ખેડૂતોને 440 વોલ્ટનો ઝટકો આપ્યો છે. ઈફકોએ ખાતરના ભાવમાં તોતિંગ વધારો કર્યો છે. NPKખાતરની 50 કિલોની એક ગુણ પર ઈફકોએ સીધો રૂ.250નો વધારો કર્યો છે. વર્ષ 2025ના પ્રથમ મહિનામાં જ ખેડૂતોને હેરાન થવાનો વારો આવ્યો છે.
IFFCOએ આપી ભાવવધારાની ભેટ
NPKખાતરનું ઉત્પાદન કરતી ઈફકોએ ખાતરના ભાવમાં વધારો ઝીંક્યો છે. અત્યાર સુધી ખેડૂતોને NPKની 50 કિલોની એક ગુણ રૂ,1,470માં મળતી હતી, તેના પર રૂ. 250 વધારવામાં આવ્યા છે. મતલબ કે 50 કિલોની એક ગુણનો ભાવ હવે રૂ.1,720 થઈ ગયો છે.
ખેડૂતો પર ભારણ વધશે
ગુજરાતના અનેક જિલ્લાઓમાં ખેડૂતો NPK ખાતરનો ઉપયોગ કરે છે. ઈફકોએ ભાવવધારો થતા દક્ષિણ ગુજરાતના ખેડૂતો પર સીધો રૂ.20 કરોડનો બોજ વધશે, કારણકે દક્ષિણ ગુજરાતના ખેડૂતો ડાંગરની ખેતી કરે છે, જે માટે NPK ખાતર સૌથી વધારે ઉપયોગી છે. રાજ્યભરના ખેડૂતોના માથે અંદાજિત રૂ.350 કરોડનો ભાર વધશે.
ખાતરના ભાવ વધતા ખેડૂતો રોષમાં
ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે કે ખાતરના ભાવમાં રાહત આપવાના બદલે ઝટકો આપવામાં આવી રહ્યો છે. ખાતરની જરૂરિયાત હોવાના સમયે જ ભાવવધારો કરીને ધરતીપુત્રોને હેરાન કરવામાં આવ્યા છે. આ ભાવ વધારાના કારણે ખેડૂત દેવાના ડુંગર નીચે વધુ દબાશે. ખાતરના ભાવ વધવાના કારણે ખેત ઉત્પાદનમાં વધારો થયો છે. એકતરફ ખેડૂતોની આવકમાં ઘટાડો થઈ રહ્યો છે, તેવામાં ખાતરમાં ભાવ વધારો થાય તે ખેડૂતોને બિલકુલ પરવડે તેમ નથી.
વિપક્ષના સરકાર પર પ્રહાર
કોંગ્રેસે સરકારને ખેડૂત વિરોધી ગણાવી. કોંગ્રેસ નેતાઓના આરોપો મુજબ આ સરકારને ખેડૂતો ચૂંટણી સમયે જ દેખાય છે. જીતી ગયા બાદ ભાજપની સરકાર ખેડૂતોને ભૂલી જાય છે, અને ભાવવધારો કરીને તેમને હેરાન કરવાનું કામ કરે છે. ખેડૂતોની આવક બમણી કરવાના બદલે તેમને પાયમાલ કરવામાં આવ્યા છે.ઉદ્યોગપતિઓના દેવા માફ થાય છે, પરંતુ ખેડૂતોને સહાય ચૂકવાતી નથી.




















