બગદાણા બબાલ મામલે જયરાજ આહીરની ધરપકડ બાદ જામીન અરજી કોર્ટે ફગાવ્યા બાદ તેમને જેલભેગા કરવામાં આવતા સમગ્ર મુદ્દે રાજકારણ અને સમાજમાં ચર્ચા તેજ બની છે. આ મામલે કોળી સમાજ સતત નવનીત બાલધીયાને ન્યાય મળે તે માટે લડાઈ લડી રહ્યો છે. આ સંદર્ભે કોળી સમાજના આગેવાનો દ્વારા સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી.
'જરૂર પડે ત્યારે જો ધોકા લેવા પડે તો ધોકા પણ દઉં...'
કોળી સમાજના આગેવાનો પરષોત્તમ સોલંકી, હીરા સોલંકી સહિતના નેતાઓએ મુખ્યમંત્રીને મળીને આ મામલે ન્યાયની માંગ કરી હતી. ત્યારબાદ મંત્રી પરષોત્તમ સોલંકીએ આ મુદ્દે ભાવુક અને સ્પષ્ટ નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, 'ઘણા રાજકારણીઓ વાતો કરીને ભાગી જાય છે, પરંતુ હું એવો નથી.' તેમણે ઉમેર્યું હતું કે, 'જરૂર પડે ત્યારે જો ધોકા ઉપાડવા પડે તો ઉપાડુ, મને કઈ આડું આવતું નથી.'
'હું રાજકારણ કરતો નથી, મને એ કરતા આવડતું પણ નથી'
પરષોત્તમ સોલંકીએ વધુમાં જણાવ્યું હતું કે, 'હું રાજકારણ કરતો નથી, મને એ કરતા આવડતું પણ નથી. હું તો દુઃખીની સામે દુઃખી અને સુખીની સામે સુખી છું.' તેમણે સમાજના લોકો માટે ખુલ્લેઆમ કહ્યું હતું કે, 'તમારે જ્યારે જરૂર હોય ત્યારે ભાવનગર કે ગાંધીનગર મારા નિવાસસ્થાને આવજો. હું મદદ કરીશ અને જો આ વાતનો અખતરો કરવો હોય તો કરી લેજો'
કોળી સમાજમાં ન્યાયની માંગ વધુ મજબૂત બની
ઉલ્લેખનીય છે કે જયરાજ આહીરે કોર્ટમાં જામીન અરજી કરી હતી, પરંતુ કોર્ટ દ્વારા જામીન અરજી ફગાવી દેવામાં આવતા તેમને જેલભેગા કરવામાં આવ્યા છે. આ ઘટનાને લઈને કોળી સમાજમાં ન્યાયની માંગ વધુ મજબૂત બની છે. સમગ્ર મામલો હવે રાજકીય તેમજ સામાજિક સ્તરે વધુ ચર્ચાનો વિષય બન્યો છે.




















