ઈરાન અને ઈઝરાયલ વચ્ચે હાલ તણાવ ચાલી રહ્યો છે. આ વચ્ચે ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ જણાવ્યું હતું કે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની વાતચીત બાદ ઈરાન સામે મોટો હુમલો ટાળી દેવામાં આવ્યો છે. નેતન્યાહૂના કાર્યાલયે જણાવ્યું હતું કે મંગળવારે વહેલી સવારે ઈરાની મિસાઈલ હુમલાના જવાબમાં ઇઝરાયલે ઈરાની રડારને નિશાન બનાવ્યું હતું. તેમાં કહેવામાં આવ્યું છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પની વડા પ્રધાન નેતન્યાહૂ સાથેની વાતચીત પછી ઇઝરાયલે વધારાના હુમલા કર્યા નથી.
યુદ્ધવિરામના ઉલ્લંઘનનો આરોપ
હકીકતમાં ડોનાલ્ડ ટ્રમ્પે યુદ્ધવિરામની જાહેરાત કર્યા પછી પણ ઇઝરાયલે આરોપ લગાવ્યો હતો કે ઈરાન તેના પર મિસાઈલોથી હુમલો કરી રહ્યું છે. આ પછી ઇઝરાયલે પણ ઈરાન પર હુમલો કરવા માટે તેના ફાઇટર વિમાનો મોકલ્યા. ઇઝરાયલને ચેતવણી આપતા ટ્રમ્પે કહ્યું "ઈરાન પર બોમ્બ ન ફેંકો. આમ કરવું યુદ્ધવિરામનું મોટું ઉલ્લંઘન હશે. તાત્કાલિક તમારા પાઇલટ્સને પાછા બોલાવો."
સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા ટ્રમ્પે કહ્યું "ઈઝરાયલ ઈરાન પર હુમલો કરશે નહીં. બધા વિમાનો પાછા ફરશે. કોઈને નુકસાન થશે નહીં યુદ્ધવિરામ અસરકારક છે!" તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે તેમને ઈરાનમાં શાસન પરિવર્તનની અપેક્ષા નથી.
હું ઇઝરાયલથી ખુશ નથી - ટ્રમ્પ
આજે હેગમાં નાટો સમિટ માટે રવાના થતાં પહેલાં વ્હાઇટ હાઉસ ખાતે પત્રકારો સાથે વાત કરતા ડોનાલ્ડ ટ્રમ્પે યુદ્ધવિરામ અમલમાં આવ્યા પછી પણ ચાલુ રહેલા હુમલાઓ પર નિરાશા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું "તેઓએ તેનું ઉલ્લંઘન કર્યું પરંતુ ઇઝરાયલે પણ તેનું ઉલ્લંઘન કર્યું." ટ્રમ્પે ખાસ કરીને ઇઝરાયલની કાર્યવાહી પર નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું "હું ઇઝરાયલથી ખુશ નથી. મને એ વાત ગમતી નહોતી કે ઇઝરાયલે કરાર પર પહોંચ્યા પછી તરત જ હુમલો શરૂ કર્યો. અને હવે હું સાંભળી રહ્યો છું કે ઇઝરાયલે ફક્ત એટલા માટે કાર્યવાહી કરી કારણ કે તેમને લાગ્યું કે એક રોકેટ તેમની સરહદનું ઉલ્લંઘન કરી રહ્યું છે જે ક્યાંય પડ્યું નથી."
ઇઝરાયલનો આરોપ
ઇઝરાયલે કહ્યું હતું કે યુદ્ધવિરામ શરૂ થયા પછી ઇરાને મિસાઇલોથી હુમલો કર્યો હતો. મિસાઇલ હુમલાઓ પછી ઇઝરાયલના સંરક્ષણ પ્રધાન ઇઝરાયલ કાત્ઝે ઇઝરાયલી સેનાને કડક જવાબ આપવા નિર્દેશ આપ્યો હતો. કાત્ઝે કહ્યું હતું કે ઇરાને યુદ્ધવિરામ અમલમાં આવ્યા પછી મિસાઇલ હુમલાઓ શરૂ કરીને યુદ્ધવિરામનું સંપૂર્ણ ઉલ્લંઘન કર્યું છે.






