ઝઘડીયામાં આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય ચૈતર વસાવાની આગેવાની હેઠળ પરિવર્તન સભા યોજાઈ હતી. આ સભામાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા, જે ઝઘડીયામાં રાજકીય પરિવર્તન તરફ લોકોના વધતા ઝુકાવનો સંકેત આપતું હોવાનું ચૈતર વસાવાએ જણાવ્યું હતું.
'ખોટી FIR અને જેલનો જવાબ જનતા લોકતાંત્રિક રીતે આપશે'
સભાને સંબોધતા ચૈતર વસાવાએ કહ્યું હતું કે, 'ભાજપના લાંબા સમયથી ચાલતા શાસનથી જનતા હવે આક્રોશમાં છે અને તેના કારણે ઝઘડીયામાં આમ આદમી પાર્ટી તરફ લોકોનો વિશ્વાસ વધી રહ્યો છે. તેમણે દાવો કર્યો હતો કે ઝઘડીયામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકો AAPમાં જોડાયા છે, જે બદલાતી રાજકીય સ્થિતિ દર્શાવે છે'. ચૈતર વસાવાએ ભાજપ સરકાર પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે તેમના શાસન દરમિયાન શિક્ષણ, સિંચાઈ અને આરોગ્ય જેવી મૂળભૂત સુવિધાઓ સંપૂર્ણ રીતે નિષ્ફળ ગઈ છે. તેમણે વધુમાં કહ્યું હતું કે તેમના સામે ખોટી FIR નોંધવામાં આવી અને જેલ મોકલવામાં આવ્યા, પરંતુ તેનો જવાબ જનતા લોકતાંત્રિક રીતે અને મતપેટી દ્વારા આપશે'.
'મહેશભાઈ વસાવા પોતાના પિતાના ન થયા એ બીજાના શું થશે?'
તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, 'આવનારા સમયમાં તાલુકા પંચાયતથી લઈને નગરપાલિકા સુધી આમ આદમી પાર્ટી જીત હાંસલ કરશે. ભાજપ દ્વારા કરવામાં આવતી જમીન સંપાદનની કાર્યવાહીથી આદિવાસી સમાજમાં ભારે આક્રોશ હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. સભામાં ચૈતર વસાવાએ કટાક્ષ કરતા કહ્યું હતું કે “મહેશ વસાવા પોતાના પિતાના ન થયા, તો બીજાના શું થશે?” તેમણે વધુમાં જણાવ્યું હતું કે આવનારા દિવસોમાં જો લોકો વધુ જાગૃત બનશે તો ભાજપના નેતાઓ સ્ટેજ પરથી અબબબબબ બોલતા જોવા મળશે, જે જનતાના બદલાતા મૂડનો સંકેત છે.




















