લાફા કાંડમાં હાલ આમ આદમી પાર્ટીનાં ધારાસભ્ય ચૈતર વસાવા (Chaitar Vasava) જેલમાં છે, ત્યારે આ મામલે તાલુકા પંચાયતનાં પ્રમુખ સંજય વસાવાએ સમસ્ત આદિવાસી સમાજનાં પ્રમુખને પત્ર લખ્યો છે. પત્રમાં જણાવ્યુ છે કે જો ચૈતાર વસાવા મારી અને ચંપાબેન વસાવાની માફી માંગે તો હું કેસ પરત લેવા માટે તૈયાર છું.
નર્મદા જિલ્લાના ડેડીયાપાડા ખાતે પ્રાંત કચેરીમાં 5 જુલાઈના રોજ થયેલ "લાફા કાંડ" કેસમાં ધરપકડમાં આવેલા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને જામીન મળ્યા નથી. તેઓ હાલ વડોદરા સેન્ટ્રલ જેલમાં છે. તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવાની પોલીસ ફરિયાદના આધારે ધારાસભ્ય વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરાઈ હતી.
સરકારી પક્ષે ધારાસભ્ય ચૈતર વસાવાના અગાઉના ગુનાઓનો હવાલો આપીને જામીન અરજીનો કડક વિરોધ કર્યો હતો. ખાસ કરીને વર્ષ 2023ના ફોરેસ્ટ વિભાગના કેસનો ઉલ્લેખ કરીને જણાવવામાં આવ્યું હતું કે તેઓને શરતી જામીન મળ્યા હતા. હાલ આ કેસ એડિશનલ સેશન કોર્ટમાં ચાલી રહ્યો છે અને કોર્ટે ચૈતર વસાવાને જામીન આપવા ઈનકાર કર્યો છે. પરિણામે ધારાસભ્યને હાલ જેલવાસ જ ભોગવવો પડશે.
ચૈતર વસાવાના પક્ષ દ્વારા હવે હાઈકોર્ટમાં જામીન માટે અરજી કરવામાં આવશે તેવી શક્યતા છે. સાથે જ ચૈતર વસાવાનાં કાર્યકર્તાઓ દ્વારા સાત દિવસ માં જમીન નહિ મળે તો તીર કામઠા સાથે ઘેરાવો કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.




















