ભાજપના સાંસદ નરહરી અમીન સામે અમદાવાદમાં આમ આદમી પાર્ટી (AAP) દ્વારા ઉગ્ર આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. એસપી રીંગ રોડ પર ઝુંડાલથી વૈષ્ણોદેવી તરફ જતાં હોટલ હિલ્લોક નજીક આવેલા ડિવાઇડર કટને બંધ કરવાના મામલે AAP દ્વારા ભાજપ સાંસદ પર ગંભીર આરોપો કરવામાં આવ્યા છે. પાર્ટીના નેતાઓ અને સ્થાનિક લોકો મોટી સંખ્યામાં રસ્તા પર ઉતરી આવ્યા હતા.
'નરહરી અમીનના કહેવાથી ઔડા અને પોલીસે મળીને આ ડિવાઇડર કટ બંધ કર્યો'
આ આંદોલનમાં આમ આદમી પાર્ટીના નેતાઓ જતિન પટેલ, અમિત પંચાલ, કૌતુક શાહ, પ્રિતેશ પટેલ અને સુરેશ ગજ્જર સહિત સ્થાનિક રહેવાસીઓ જોડાયા હતા. AAPનો દાવો છે કે સાંસદ નરહરી અમીનના કહેવાથી ઔડા અને પોલીસે મળીને આ ડિવાઇડર કટ બંધ કરાવ્યો છે. ડિવાઇડર બંધ થતાં સ્થાનિક લોકોને હવે ત્રણથી ચાર કિલોમીટર સુધી ફેરવીને જવું પડે છે, જેના કારણે રોજિંદા જીવનમાં ભારે તકલીફ ઊભી થઈ છે.
'જનતાની અવાજ દબાવવાની કોશિશ થઈ રહી છે'
AAPના નેતાઓએ જણાવ્યું હતું કે, આ મુદ્દે અગાઉ પણ સાંસદ અને કોર્પોરેટરોને વારંવાર રજૂઆત કરવામાં આવી હતી, છતાં આજ સુધી કોઈ ન્યાયિક અથવા વ્યવહારુ નિરાકરણ આવ્યું નથી. પરિણામે સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે અને જનતા સાથે મળીને સિગ્નેચર અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. AAPનું કહેવું છે કે જનતાની અવાજ દબાવવાની કોશિશ થઈ રહી છે અને આ તાનાશાહી વલણ સામે હવે વિરોધ વધુ તીવ્ર બનાવવામાં આવશે. પાર્ટીના નેતાઓએ ચેતવણી આપી છે કે જો તાત્કાલિક ડિવાઇડર કટ ફરી ખોલવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર સ્વરૂપ લેશે.




















