Valsad Bridge Tragedy : વલસાડ જિલ્લામાં ઔરંગા નદી પર બની રહેલા નિર્માણાધીન બ્રિજનો સ્લેબ તૂટવાની ઘટના મામલે આમ આદમી પાર્ટીએ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. AAPના નેતા મનોજ સોરઠીયાએ સરકાર અને કોન્ટ્રાક્ટરો પર ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે કહ્યું કે, 'ગુજરાતમાં વારંવાર બ્રિજ તૂટે છે, ભાજપના નેતાઓને શરમ છે કે નહીં?'
'સરકાર એક ટકાઉ રસ્તો-મજબૂત પુલ બનાવવામાં પણ નિષ્ફળ ગઈ'
AAPના નેતા મનોજ સોરઠીયાએ કહ્યું કે, ચાર મજૂરો જીવન–મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે અને ભ્રષ્ટાચારની પણ હદ હોય છે, હજુ કેટલા પૈસા ખાશો?, બ્રિજ તૂટે છે, રોડ બેસી જાય છે, પરંતુ કોન્ટ્રાક્ટરો પર કોઈ કાર્યવાહી થતી નથી. ગુજરાત સરકાર એક ટકાઉ રસ્તો કે એક મજબૂત પુલ બનાવવામાં પણ નિષ્ફળ ગઈ છે”
'છેલ્લા 30 વર્ષમાં ભ્રષ્ટાચાર સિવાય કંઈ કર્યું નથી'
મનોજ સોરઠીયાએ કહ્યું કે, 'આ સરકારે છેલ્લા 30 વર્ષમાં ભ્રષ્ટાચાર સિવાય કંઈ કર્યું જ નથીય'. આ નિવેદનોને લઈને જિલ્લા રાજકારણમાં ચર્ચા ગરમાઈ છે. નિર્માણાધીન બ્રિજોના સુરક્ષા ધોરણો, ગુણવત્તા ચકાસણી, અને કોન્ટ્રાક્ટરો પર પગલાં લેવાની પ્રક્રિયા અંગે ફરીથી પ્રશ્નો ઊભા થયા છે. હાલ ઘટનાસ્થળે તપાસ ચાલી રહી છે અને પ્રશાસન દ્વારા બ્રિજની સામગ્રી, પિલર અને સપોર્ટ સ્ટ્રક્ચરની તકનીકી તપાસ હાથ ધરવામાં આવી છે.






