આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ આજે અનેક મુદ્દાઓ પર વિવાદાસ્પદ અને તીખાં નિવેદનો આપતાં રાજ્યની રાજનીતિમાં નવી ચર્ચા ઉભી કરી છે. તેમણે આરોપ લગાવ્યો કે જો ફરી ભાજપ સત્તામાં આવશે તો “દીકરીઓના સરઘસ નીકળશે અને દીકરાઓ નશાના રવાડે ચડી જશે.” ઈસુદાન ગઢવીએ જણાવ્યું કે, ''જનતા પૂરતી જાગૃત નથી, જેના કારણે બુટલેગરો, ગુંડાઓ અને 8 પાસ લોકોએ સત્તા પર કબજો કર્યો છે”
'આ મુદ્દે જિગ્નેશ મેવાણીની ની લડત યોગ્ય છે'
ડ્રગ્સ અને દારૂ વિરુદ્ધ કોંગ્રેસના નેતા જીગ્નેશ મેવાણીએ શરૂ કરેલા નિવેદને લઈ તેમણે ખુલ્લું સમર્થન વ્યક્ત કરતા કહ્યું કે આ મુદ્દે મેવાણીની લડત યોગ્ય છે. જોકે તેમણે કોંગ્રેસને લઈને કડક વલણ દાખવતાં સ્પષ્ટ કર્યું કે, “કોંગ્રેસે છેલ્લા 30 વર્ષમાં ભાજપને રાજ કરવામાં મદદ કરી છે, તેથી કોંગ્રેસ સાથે કોઈ ગઠબંધન નહીં.” તેમણે આક્ષેપ કર્યો કે વિસાવદરમાં કોંગ્રેસે જનતા સાથે વિશ્વાસઘાત કર્યો છે, અને AAP ક્યારેય કોંગ્રેસ સાથે નહીં જાય.
''કોંગ્રેસ ગુજરાતમાં ખતમ થઈ ગઈ છે''
વધુમાં કહ્યું કે, ''કોંગ્રેસના સારા અને ઈમાનદાર નેતાઓ વહેલી તકે જાગી જાય અને રાજકીય પરિવર્તન માટે AAP માં જોડાય. તેમણે આરોપ મૂક્યો કે કોંગ્રેસના નેતાઓ પાસે કરોડોની સંપત્તિ અને મોટી કંપનીઓના ધંધા છે, પરંતુ પાર્ટીરૂપે કોંગ્રેસ ગુજરાતમાં ખતમ થઈ ગઈ છે”





















