Airports Authority of India (AAI) દ્વારા સંચાલિત જામનગર એરપોર્ટએ Customer Satisfaction Index (CSI) Survey – Round-II 2025માં શાનદાર પ્રદર્શન કરીને મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. જામનગર એરપોર્ટને 5માંથી 4.96નો ઉત્તમ ગુણાંક મળ્યો છે, જેના આધારે દેશભરના 63 AAI સંચાલિત એરપોર્ટ્સમાં કુલ 4મો ક્રમ પ્રાપ્ત થયો છે. સાથે જ ગુજરાત રાજ્યના એરપોર્ટ્સમાં જામનગર એરપોર્ટ દ્વિતીય સ્થાને રહ્યો છે.
મોટાભાગના ક્ષેત્રોમાં ઉચ્ચ ગુણવત્તાવાળી સેવા આપ્યાનું સામે આવ્યું
પરિમાણવાર સર્વે પરિણામો મુજબ, જામનગર એરપોર્ટએ મુસાફર સુવિધાઓના મોટાભાગના ક્ષેત્રોમાં ઉચ્ચ ગુણવત્તાવાળી સેવા આપ્યાનું સામે આવ્યું છે. એરપોર્ટ સુધી અને એરપોર્ટથી આવન-જાવનની સુવિધાને 4.91, પાર્કિંગ સુવિધાઓને 4.91, બેગેજ ટ્રોલીની ઉપલબ્ધતાને 4.93, ચેક-ઇન માટેનો રાહ જોવાનો સમય 4.94 અને ચેક-ઇન સ્ટાફની કાર્યક્ષમતાને 4.97નો ઊંચો સ્કોર મળ્યો છે.
મુસાફર સુવિધાઓ જામનગર એરપોર્ટની મુખ્ય તાકાત
સ્વચ્છતા અને મુસાફર સુવિધાઓ જામનગર એરપોર્ટની મુખ્ય તાકાત તરીકે સામે આવી છે. ટર્મિનલની સ્વચ્છતાને 4.96, શૌચાલયોની ઉપલબ્ધતાને 4.99, શૌચાલયોની સ્વચ્છતાને 4.91, ટર્મિનલની અંદર સરળતાથી ચાલવાની સુવિધાને 4.94 અને એરપોર્ટમાં માર્ગ શોધવાની સરળતાને 4.97નો ઉત્તમ ગુણાંક પ્રાપ્ત થયો છે. ફ્લાઇટ માહિતી ડિસ્પ્લે સિસ્ટમ (FIDS) માટે મુસાફરોએ 4.99નો લગભગ સંપૂર્ણ સ્કોર આપ્યો છે.
રેસ્ટોરન્ટ અને ભોજન સુવિધાને 4.97...
રેસ્ટોરન્ટ અને અન્ય સુવિધાઓમાં પણ જામનગર એરપોર્ટનું પ્રદર્શન નોંધપાત્ર રહ્યું છે. રેસ્ટોરન્ટ અને ભોજન સુવિધાને 4.97, શોપિંગ માટે મૂલ્ય-પ્રતિ-પૈસાને 4.95, વાઈ-ફાઈ તથા ઇન્ટરનેટ સેવાને 4.95 અને એરપોર્ટના સમગ્ર વાતાવરણને 4.92નો સારો પ્રતિસાદ મળ્યો છે. સુરક્ષા અને સ્વચ્છતા બાબતે સુરક્ષા તથા હાઈજીન વ્યવસ્થાની અસરકારકતાને 4.98 અને મુસાફરોના વિશ્વાસ સ્તરને 4.91નો ઊંચો સ્કોર નોંધાયો છે. ખાસ કરીને, મુસાફરો દ્વારા અનુભવાયેલ તણાવનું સ્તર માત્ર 1.04 નોંધાયું છે, જે એરપોર્ટની સુવ્યવસ્થિત કામગીરી દર્શાવે છે.




















