A statement by BJP MLA Kumar Kanani sparked a controversy: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યુગલ વાગી ચૂક્યું છે. રાજકીય પક્ષોએ પોતાના ઉમેદવારોની જાહેરાત પણ કરી દીધી છે. ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા પણ પુરી થઈ ચુકી છે. ઉમેદવારોની પસંદગીમાં ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બધે જ કહીં ખુશી કહીં ગમ જેવો માહોલ છે. ખાસ કરીને ભાજપમાં આ વખતે નિયમોની વાત કરીને ટિકિટ પાકવામાં આવતા ભડકો થયો છે. કાર્યકરોમાં ભારે નારાજગી છે. એવામાં વધુ એક વિવાદ સામે આવ્યો છે. જેમાં સરકારના પૂર્વ મંત્રી અને હાલ ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયુવેગે વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો કુમાર કાનાણીએ જે શબ્દો વાપર્યાં છે તેને કારણે રાજકારણ ગરમાયું છે.
સુરત મહાનગરપાલિકાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. પ્રચાર પ્રસાર શરૂ થઈ ગયો છે. ભાજપ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ધારાસભ્યોને પણ ખાસ જવાબદારીઓ સોંપવામાં આવી છે. જે અંતર્ગત ગુજરાત સરકારના પૂર્વ મંત્રી અને હાલ વરાછા બેઠકથી ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણી ચૂંટણી મેદાનમાં પ્રચાર કરતા નજરે પડે છે. આ પ્રચાર પ્રસાર દરમિયાન કુમાર કાનાણી અને આમ આદમી પાર્ટીના કાર્યકર સામસામે આવી ગયા હતા. સોશિયલ મીડિયા પર એક કોમેન્ટથી શરૂ થયેલી બાબલ પછી બહુ આગળ વધી ગઈ હતી.
વાત એમ છેકે, પક્ષના આદેશ મુજબ સોશિયલ મીડિયા પર પ્રચાર પ્રસાર દરેક માટે ફરજિયાત કરાયો છે. એવામાં ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણી જ્યારે પોતાના વિકાસકાર્યોનું ફેસબુક લાઈવ કરી રહ્યા હતા, ત્યારે 'આપ'ના એક કાર્યકર્તાએ તેમની ટિખળ કરી. AAPના કાર્યકરે કરેલી કમેન્ટ બાદ વિવાદ વકર્યો છે. સામાન્ય રીતે શાંત સ્વભાવ ધરાવતા કુમાર કાનાણી અચાનક ધુઆંપુઆં થઈ ગયા અને તેમણે જાહેર મંચ પરથી આમ આદમી પાર્ટીને પોતાનો આક્રમક મિજાજ બતાવ્યો. વોર્ડ નંબર 3 ના કાર્યાલય ઉદ્ઘાટન સમયે તેમણે આ કમેન્ટનો એવો જવાબ આપ્યો કે જેનો વીડિયો હવે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
"સત્તામાં આવીશ તો શું તારા બાપના પૈસાથી વિકાસ કરીશ?"
ગુજરાત સરકારના પૂર્વ મંત્રી અને સુરતની વરછા બેઠક પરથી ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીએ એક સભામાં મંચ પરથી વાત કરતા આમ આદમી પાર્ટીના કાર્યકરને સણસણતો જવાબ આપ્યો. કુમાર કાનાણીએ કહ્યું કે, મેં વિકાસની વાત મુકી, મારું ફેસબુક લાઈવ ચાલતું હતું. એમાં એક AAP વાળાએ મારા લાઈવ દરમિયાન કોમેન્ટ કરી. કે આતો પ્રજાના ટેક્સના પૈસાથી કામ કરે છે, આ તો પ્રજાના પૈસાથી કામ કરે છે. તો મારે એને કહેવું છેકે, તો તું સત્તામાં આવીશ તો તારા બાપના પૈસાથી કામ કરીશ. પ્રજાના પૈસાથી જ અમે કામ કરીએ છીએ. પણ યોગ્ય જગ્યાએ યોગ્ય કામમાં પૈસા વપરાય છે. પૈસા ખવાતા નથી, ભ્રષ્ટાચાર થતો નથી. અને તમે લોકો પ્રજાના પૈસા ખિસ્સામાં નાંખો છો. કામ અને પૈસાનો હિસાબ આપણે લોકોને આપતા હોઈએ છીએ. એ આમ આદમી પાર્ટી વાળા કયા મોંઢે આપણી પાસે હિસાબ માંગવા નીકળ્યાં છે.





