મેક્સિકોના ગુઆનાજુઆટો રાજ્યમાં, જે દેશનું સૌથી હિંસાગ્રસ્ત રાજ્ય તરીકે ઓળખાય છે, ત્યાં એક ધાર્મિક તહેવાર દરમિયાન થયેલી અંધાધૂંધ ગોળીબારની ઘટનાએ આખા વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે. આ ઘટના 24 જૂન, 2025ની રાત્રે ઇરાપુઆટો શહેરમાં બની, જ્યાં સેન્ટ જોન ધ બેપ્ટિસ્ટના જન્મની ઉજવણી દરમિયાન બંદૂકધારીઓએ નિર્દોષ લોકો પર ગોળીબાર કર્યો. આ હુમલામાં 12 લોકોનાં મોત થયાં, જેમાં એક 17 વર્ષનો કિશોર પણ સામેલ છે, અને લગભગ 20 અન્ય લોકો ઘાયલ થયા. આ ઘટનાએ મેક્સિકોમાં ચાલી રહેલી ગેંગવોર અને કાર્ટેલ હિંસાની ગંભીર સમસ્યાને ફરી એકવાર ઉજાગર કરી છે.
અચાનક થયો ગોળીબાર!
આ ઘટના ઇરાપુઆટો શહેરની બેરિયો નુએવો કોલોનીમાં બની, જ્યાં સ્થાનિક લોકો સેન્ટ જોન ધ બેપ્ટિસ્ટના જન્મની ઉજવણી કરી રહ્યા હતા. આ તહેવારમાં લોકો નાચતા-ગાતા હતા, બેન્ડ મ્યુઝિકની ધૂન પર આનંદ માણી રહ્યા હતા, અને ફેરિસ વ્હીલ જેવી રમતોનો આનંદ લઈ રહ્યા હતા. આ ઉત્સવની રાત અચાનક ગોળીબારની તડતડાટથી ગુંજી ઉઠી. બંદૂકધારીઓએ અંધાધૂંધ ગોળીબાર શરૂ કર્યો, જેના કારણે લોકોમાં નાસભાગ મચી ગઈ. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં લોકો ગભરાટમાં દોડતા અને જીવ બચાવવા માટે છુપાતા જોવા મળે છે.
ઇરાપુઆટોના સ્થાનિક અધિકારી રોડોલ્ફો ગોમેઝ સેર્વેન્ટેસે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે આ હુમલામાં 12 લોકોનાં મોત થયા છે, જેમાં આઠ પુરુષો, બે મહિલાઓ અને એક 17 વર્ષનો કિશોર સામેલ છે. આ ઉપરાંત, લગભગ 20 અન્ય લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે, જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સ્થાનિક સરકારે ઘાયલો અને પીડિતોના પરિવારોને મનોવૈજ્ઞાનિક સહાય પૂરી પાડવાની શરૂઆત કરી છે.
ગેંગવોર અને કાર્ટેલ હિંસા
ગુઆનાજુઆટો રાજ્ય લાંબા સમયથી ડ્રગ કાર્ટેલ્સ વચ્ચેની ખૂની લડાઈનું કેન્દ્ર રહ્યું છે. આ ઘટના પાછળ પણ સાન્ટા રોઝા ડે લીમા ગેંગ અને જાલિસ્કો ન્યૂ જનરેશન કાર્ટેલ (CJNG) વચ્ચેની દુશ્મની હોવાનું મનાય છે. આ બંને ગેંગ્સ રાજ્યના શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં નિયંત્રણ મેળવવા માટે લડી રહી છે. આ ઉપરાંત, ગુઆનાજુઆટોમાં પેટ્રોલ પાઇપલાઇન્સમાંથી ઇંધણની ચોરી (હુઆચિકોલેઓ) પણ આ ગેંગ્સની આવકનો મુખ્ય સ્ત્રોત છે, જેના કારણે હિંસા વધુ તીવ્ર બની છે.
આ ઘટના એવા સમયે બની છે જ્યારે ગુઆનાજુઆટોમાં હિંસાનું સ્તર ચરમસીમાએ પહોંચી ગયું છે. 2024માં આ રાજ્યમાં 3,151 હત્યાઓ નોંધાઈ હતી, જે મેક્સિકોના કુલ હત્યાઓના 10.5% જેટલી હતી. આ વર્ષે પણ હિંસા ચાલુ છે, જેમાં ગયા મહિને 17 લોકોના મૃતદેહ એક નિવૃત્ત ઘરમાંથી મળી આવ્યા હતા, અને ફેબ્રુઆરીમાં આઠ લોકોની શેરીમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.સરકારનો પ્રતિસાદ
મેક્સિકોના રાષ્ટ્રપતિ ક્લાઉડિયા શેઇનબૌમે આ ઘટનાને "નિંદનીય" ગણાવી અને જણાવ્યું કે તેની તપાસ શરૂ કરવામાં આવી છે. તેમણે આ ઘટનાને "જૂથો વચ્ચેનો સંઘર્ષ" ગણાવ્યો, પરંતુ વધુ વિગતો આપવાનું ટાળ્યું. ગુઆનાજુઆટોના રાજ્યપાલ લિબિયા ડેનિસે આ હુમલાની નિંદા કરી અને પીડિતોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી. ઇરાપુઆટોની મ્યુનિસિપલ સરકારે જણાવ્યું કે સુરક્ષા દળો "કાયરતાપૂર્ણ કૃત્ય"ના ગુનેગારોની શોધમાં છે.
જોકે, સુરક્ષા નિષ્ણાત ડેવિડ સૌસેડોએ જણાવ્યું હતું કે ગુઆનાજુઆટોમાં નેશનલ ગાર્ડની હાજરી હોવા છતાં હિંસા રોકવામાં આવી નથી. સલામાન્કા શહેરમાં છેલ્લા ત્રણ વર્ષમાં ત્રણ અલગ-અલગ પોલીસ ડિરેક્ટર્સ બદલાયા છે, જે સ્થાનિક સુરક્ષા વ્યવસ્થાની નબળાઈ દર્શાવે છે.





