અમદાવાદના વટવા વિસ્તારમાં હત્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. 12 ફેબ્રુઆરી 2026ની રાત્રે શ્યામાપ્રસાદ મુખરજીનગર ચાર માળીયા વિસ્તારમાં એક યુવકની નિર્મમ હત્યા કરવામાં આવી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. મોહમદસમીર અંસારીને તેમની માતા નસીમબાનુએ રાત્રે આશરે સવા બે વાગ્યે જાણ કરી કે તેમના ભાઈ મોહમદશકીલની કોઈ અજાણ્યા શખ્સોએ હત્યા કરી છે.
વટવામાં ક્રૂર હત્યાની ઘટના
આ જાણ થતાં જ પરિવારજનો તરત જ સ્થળ પર દોડી આવ્યા હતા. બ્લોક નં. 56ના ઘર નં. 1761ના દરવાજા આગળ મોહમદશકીલ લોહીલુહાણ હાલતમાં મૃત પડેલા જોવા મળ્યો હતા. મૃતકના ડાબા પગના સાથળ પાછળ તેમજ માથાના ઉપરના ભાગે ગંભીર ઇજાઓ હતી, જેના કારણે હુમલો ખૂબ જ ક્રૂર રીતે કરવામાં આવ્યો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
પોલીસે તપાસ હાથ ધરી
પ્રાથમિક માહિતી મુજબ મૃતકનો અગાઉ શ્યામાપ્રસાદ મુખરજીનગરમાં રહેતા સદામ અને તેના બનેવી આસીફ શેખ સાથે બોલાચાલી અને ઝઘડો થયો હતો. ઘટનાસ્થળે હાજર રૂબીના નામની મહિલાએ પણ આસીફ શેખ સાથે થયેલી બોલાચાલી અંગે પોલીસને માહિતી આપી હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે અને હત્યાનું સાચું કારણ જાણવા તથા સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડવા માટે આગળની કાર્યવાહી હાથ ધરી છે.




















