અમદાવાદ શહેરના નરોડા વોર્ડમાં તાજેતરની સ્થાનિક સ્વરાજની ચૂંટણીનાં પરિણામ પછી વિવાદ ઊભો થયો છે. Indian National Congress (કોંગ્રેસ) દ્વારા એક ગંભીર આક્ષેપ સાથે સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદ મુજબ, નરોડા વોર્ડમાંથી ચૂંટાયેલા સભ્ય ડો. ચંદાબહેન વિઠ્ઠલભાઈ પટેલે ચૂંટણી દરમિયાન પોતાના એફિડેવિટમાં શૈક્ષણિક લાયકાત અંગે ખોટી અને ભ્રામક માહિતી આપી હોવાનો આરોપ લગાવાયો છે. કોંગ્રેસના ઉમેદવાર જીગર સૂર્યકાંતભાઈ વ્યાસે જિલ્લા પ્રશાસન અને પોલીસ સમક્ષ આ મામલે રજૂઆત કરી છે.
આક્ષેપ છે કે ઉમેદવારે પોતાને Doctor (Dr.) તરીકે રજૂ કરીને મતદારોમાં વિશ્વાસ પેદા કર્યો હતો અને બેલેટ પેપર પર પણ “Dr.” તરીકે નામ દર્શાવ્યું હતું. પરંતુ પ્રાથમિક તપાસમાં જણાયું છે કે દર્શાવેલ ડિગ્રી માન્ય સંસ્થા દ્વારા આપવામાં આવેલી નથી અથવા શંકાસ્પદ છે. કોંગ્રેસનું કહેવું છે કે જો આ આક્ષેપો સાચા સાબિત થાય તો આ મતદારોને ગેરમાર્ગે દોરવાનો ગંભીર પ્રયાસ ગણાશે જે લોકશાહી મૂલ્યોના વિરુદ્ધ છે.
આ પણ વાંચો: અમદાવાદમાં કોંગ્રેસના કોર્પોરેટરની મુશ્કેલી વધી : કલ્પનાબેન નવલેકર વિરુદ્ધ બનાવટી LC મામલે પોલીસ ફરિયાદ
પક્ષે કરી માંગ
સમગ્ર મામલે તાત્કાલિક અને નિષ્પક્ષ તપાસ હાથ ધરવામાં આવે. ઉમેદવારની શૈક્ષણિક લાયકાતની સત્તાવાર ચકાસણી કરવામાં આવે. ખોટી માહિતી સાબિત થાય તો સભ્યપદ રદ કરવામાં આવે, સંબંધિત કાયદાકીય જોગવાઈઓ હેઠળ ફોજદારી કાર્યવાહી કરવામાં આવે.
કોંગ્રેસે સ્પષ્ટ કર્યું છે કે લોકશાહી વ્યવસ્થામાં પારદર્શિતા અને મતદારોનો વિશ્વાસ સૌથી મહત્વપૂર્ણ છે અને આ વિશ્વાસને ભંગ કરતી કોઈપણ પ્રવૃત્તિ સહન કરવામાં આવશે નહીં. પક્ષે આ મુદ્દે કાયદેસરની લડત ચાલુ રાખવાની અને સત્ય બહાર લાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.





