Usman Khawaja: ઓસ્ટ્રેલિયા ટીમનો દિગ્ગજ બેટ્સમેન ઉસ્માન ખ્વાજા હવે એક વિવાદમાં ફસાયેલો જોવા મળી રહ્યો છે. તેના પર ઈજાના બહાને મેચ ન રમવાનો ગંભીર આરોપ છે. ખ્વાજાએ ઈજાને ટાંકીને શેફિલ્ડ શીલ્ડ મેચ છોડી દીધી હતી, જ્યારે ખ્વાજા આ સમયગાળા દરમિયાન F1 રેસમાં જોવા મળ્યો હતો. હવે ક્વીન્સલેન્ડના એલિટ ક્રિકેટના હેડ જો ડેવેસે હવે ખ્વાજા પર આરોપ લગાવ્યો છે.
શું કહ્યું ઉસ્માન ખ્વાજાએ?
ઉસ્માન ખ્વાજા પર આરોપ લગાવતા જો ડેવેસે કહ્યું, "હેમસ્ટ્રિંગની કોઈ સમસ્યા ન હતી અને તે શેફિલ્ડ શિલ્ડ મેચ ન રમી શક્યો તેનું કોઈ કારણ નહોતું. અમારા મેડિકલ સ્ટાફે પણ કહ્યું હતું કે તે પસંદગી માટે ઉપલબ્ધ હતો. તે ઠીક હોવા છતાં ક્વિન્સલેન્ડ માટે ન રમવું તેના માટે ખૂબ નિરાશાજનક છે. અમે એ પણ નિરાશ છીએ કે તે હવે દક્ષિણ ઓસ્ટ્રેલિયા માટે ફાઈનલ મેચ રમશે તેવી આશા રાખીએ છીએ."
બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં ફ્લોપ રહ્યો..
ઓપનર ઉસ્માન ખ્વાજા ભારત સાથે રમાયેલી બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં ફ્લોપ સાબિત થયો હતો. આ શ્રેણી દરમિયાન ખ્વાજાએ 10 ઇનિંગ્સમાં માત્ર એક જ અડધી સદી ફટકારી હતી. આ સિવાય ખ્વાજા પાંચ ઇનિંગ્સમાં ડબલ ફિગરને પણ સ્પર્શી શક્યો નહોતો. જોકે, ઓસ્ટ્રેલિયાએ હજુ પણ ખ્વાજા પર વિશ્વાસ રાખ્યો હતો અને શ્રીલંકા પ્રવાસ માટેની ટીમમાં તેની પસંદગી કરવામાં આવી હતી.
ખ્વાજા માટે શ્રીલંકાનો પ્રવાસ ખૂબ જ શાનદાર રહ્યો હતો. શ્રીલંકા સાથે રમાયેલી ટેસ્ટ શ્રેણીમાં ઉસ્માન ખ્વાજાએ શાનદાર બેટિંગ કરી હતી અને બેવડી સદી ફટકારી હતી. ઉસ્માને પ્રથમ ટેસ્ટ મેચમાં બેટિંગ કરતા 232 રન બનાવ્યા હતા. હવે ઉસ્માન ખ્વાજા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં રમતા જોવા મળી શકે છે. WTCની ફાઈનલ જૂનમાં ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાશે.





















