ગંભીરા બ્રિજ ટૂવાની દુર્ઘટનાને ગંભીરતાપૂર્વક લેતા રાજ્ય સરકારે તપાસ માટે 6 સભ્યોની ઉચ્ચ સ્તરીય કમિટી બનાવવાની જાહેરાત કરી છે. આ કમિટી દુર્ઘટનાના તમામ પાસાંઓની તપાસ કરશે અને 30 દિવસની અંદર રાજ્ય સરકારને સંપૂર્ણ અહેવાલ સોંપશે.
આ કમિટીમાં માર્ગ અને મકાન વિભાગના અધિક સચિવ તેમજ મુખ્ય ઇજનેરને પણ સામેલ કરવામાં આવ્યા છે. કમિટી દ્વારા ખાસ કરીને બ્રિજ તૂટવાનું કારણ શું હતું, કઈ ટેકનિકલ અથવા વ્યવસ્થાગત ખામીઓ રહી હતી, તેમજ દુરઘટના પાછળ બેદરકારી કે નિષ્કાળજી કેટલી જવાબદાર હતી તે અંગે ચકાસણી કરવામાં આવશે.
સત્તાવાર સૂત્રોએ જણાવ્યું કે કમિટી માત્ર ભૂતકાળની ભૂલો શોધવા પૂરતી નહીં, પણ ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ ફરી ન બને તે માટે નિવારક પગલાં અને માપદંડો અંગે પણ માહિતી સહિત સૂચનો રજૂ કરશે.
ભવિષ્યમાં સલામત ઈન્ફ્રાસ્ટ્રકચર માટે સરકાર સતર્ક
રાજ્ય સરકારે જણાવ્યું કે લોકોની સુરક્ષા એ પ્રાથમિકતા છે અને આવી દુર્ઘટનાઓ ફરી ન બને તે માટે તમામ તકેદારીના પગલાં લેવામાં આવશે. કમિટીની ભલામણોને ધ્યાને લઇને આગામી સમયમાં પુલોની ડિઝાઇન, નિર્માણ અને જાળવણી પ્રક્રિયામાં જરૂરી સુધારાઓ કરવામાં આવશે.
પોરબંદરમાં વહેલી સવારે સર્જાયો કાળમુખો અકસ્માત: બે બાઈક વચ્ચેની જોરદાર ટક્કરમાં 3 યુવાનોના મોત, 2ની હાલત ગંભીર




