જાન્યુઆરીથી કેન્દ્રીય કર્મચારીઓ 8મા કેન્દ્રીય પગાર પંચની રચનાની રાહ જોઈ રહ્યા છે. હવે કેન્દ્ર સરકાર દ્વારા આ સંદર્ભમાં ગૃહને એક મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી છે. સંસદના ચોમાસા સત્ર દરમિયાન સાંસદ સાગરિકા ઘોષ દ્વારા રાજ્યસભામાં 8મા કેન્દ્રીય પગાર પંચની રચના સંબંધિત 3 પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. નાણા રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ આ પ્રશ્નોના લેખિતમાં જવાબ આપ્યા છે.
કેન્દ્રીય મંત્રીએ શું કહ્યું?
પગાર પંચની રચનાને મંજૂરી આપતી સત્તાવાર સૂચના જાહેર કરવાની તારીખ વિશે પૂછવામાં આવેલા પ્રશ્ન પર પંકજ ચૌધરીએ કહ્યું કે, સરકારે 8મા કેન્દ્રીય પગાર પંચ (CPC)ની રચના કરવાનો નિર્ણય લીધો છે. તેનું સત્તાવાર સૂચના યોગ્ય સમયે જારી કરવામાં આવશે. તેમણે કહ્યું કે સંરક્ષણ મંત્રાલય, ગૃહ મંત્રાલય, કર્મચારી અને તાલીમ વિભાગ અને રાજ્યો સહિત મુખ્ય હિતધારકો પાસેથી સૂચનો માંગવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે કમિશન સંદર્ભ શરતો (TOR)માં નિર્ધારિત સમય મર્યાદામાં તેની ભલામણો આપશે.
10 વર્ષે એક નવું પગાર પંચ રચવામાં આવે છે
તમને જણાવી દઈએ કે, દેશના 1 કરોડથી વધુ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો 8મા પગાર પંચની રચનાની રાહ જોઈ રહ્યા છે. હાલમાં 7મા પગાર પંચની ભલામણો અમલમાં છે, જે ડિસેમ્બર 2025 સુધી છે. તમને જણાવી દઈએ કે દર 10 વર્ષે એક નવું પગાર પંચ રચવામાં આવે છે જેથી તે સમયની આર્થિક પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોના પગાર અને પેન્શનમાં સુધારો કરવા માટે સૂચનો આપી શકાય. આ ક્રમ ચાલુ રાખતા કેન્દ્ર સરકારે આ વર્ષે જાન્યુઆરીમાં 8મા પગાર પંચની જાહેરાત કરી છે.
ક્યારે લાગુ થવાની શક્યતા છે
નવા એટલે કે 8મા પગાર પંચની ભલામણો 2026ના મધ્ય સુધીમાં લાગુ થઈ શકે છે. આ કમિશન ફિટમેન્ટ ફેક્ટરના આધારે પગારમાં વધારો કરી શકે છે. જો આવું થાય, તો કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં મોટો વધારો થશે.





