Rajkot Farmer Organ Donation : રાજકોટમાં માનવતાની મહેક ફેલાવતો એક પ્રેરણાદાયક બનાવ સામે આવ્યો છે, જેમાં ખેડૂત યુવાનના અંગદાનથી છ વ્યક્તિઓને નવજીવન મળ્યું છે. ગોંડલ તાલુકાના સુલતાનપુર ગામના 42 વર્ષીય ખેડૂત જયેશભાઈ મનસુખભાઈ ગોંડલિયાને અકસ્માતમાં ગંભીર ઇજા પહોંચ્યા બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન ડોક્ટરોએ તેમને બ્રેઈન ડેડ જાહેર કર્યા. આ અત્યંત દુઃખદ સમયે પણ જયેશભાઈના પરિવારે અદભુત માનવતા દાખવી અને અંગદાન કરવાનો ઐતિહાસિક નિર્ણય લીધો.
ખેડૂત યુવાનના અંગદાનથી 6 વ્યક્તિઓને નવજીવન
પરિવારની સંમતિથી જયેશભાઈનું હૃદય, બે કિડની, લિવર તથા ચક્ષુઓનું દાન કરવામાં આવ્યું. રાજકોટથી ગ્રીન કોરિડોર બનાવી ધબકતું હૃદય તાત્કાલિક અમદાવાદની હોસ્પિટલમાં મોકલવામાં આવ્યું, જ્યારે અન્ય અંગો દ્વારા જરૂરિયાતમંદ દર્દીઓને નવું જીવન મળવાની આશા સર્જાઈ છે.
સમાજ માટે પ્રેરણારૂપ ઉદાહરણ
આ સમગ્ર પ્રક્રિયા રાજકોટ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી, જે સંસ્થાનું 121મું સફળ અંગદાન છે. એક સામાન્ય ખેડૂત પરિવારની આ ઉમદા ભાવનાએ અનેક પરિવારોના જીવનમાં આશા, વિશ્વાસ અને ખુશીના દીવા પ્રગટાવ્યા છે અને સમાજ માટે પ્રેરણારૂપ ઉદાહરણ સ્થાપિત કર્યું છે.





















