કેન્દ્ર સરકારે મંગળવારે લોકસભામાં માહિતી આપતાં જણાવ્યું કે વર્ષ 2024 દરમિયાન દેશમાં કૂતરા કરડવાના કુલ 37,17,336 કેસ નોંધાયા હતા, જયારે હડકવાને કારણે 54 શંકાસ્પદ મૃત્યુ થયા હતા. આ માહિતી મત્સ્યઉદ્યોગ, પશુપાલન અને ડેરી રાજ્યમંત્રી એસપી સિંહ બઘેલે એક લેખિત જવાબમાં આપી હતી.
એનસીડીસી દ્વારા માહિતી એકત્રિત કરવામાં આવે છે
મંત્રીએ જણાવ્યું હતું કે આ આંકડા રાષ્ટ્રીય રોગ નિયંત્રણ કેન્દ્ર (NCDC) દ્વારા એકત્રિત કરવામાં આવે છે, જે “રાષ્ટ્રીય હડકવા નિયંત્રણ કાર્યક્રમ” હેઠળ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી માહિતી મેળવે છે.
કૂતરા કરડવાના કેસમાં કર્ણાટક સૌથી આગળ
પીટીઆઈના અહેવાલ અનુસાર, માત્ર કર્ણાટક રાજ્યમાં જ છેલ્લાં 6 મહિનામાં 2.3 લાખથી વધુ કૂતરા કરડવાના કેસ નોંધાયા છે. તેમાં 19 લોકોના હડકવાથી મૃત્યુ થયા છે, જે ગયા વર્ષે કરતા ઘણાં વધુ છે.
રખડતા કૂતરાઓની વસ્તી માટે નગરપાલિકાઓ જવાબદાર
એસપી સિંહ બઘેલે જણાવ્યું હતું કે રખડતા કૂતરાઓની વસ્તીને નિયંત્રિત કરવી નગરપાલિકાઓની જવાબદારી છે. તેઓ માટે પશુ જન્મ નિયંત્રણ કાર્યક્રમો અમલમાં મૂકવામાં આવ્યા છે.
કેન્દ્ર સરકાર દ્વારા ABC નિયમો અમલમાં
કેન્દ્ર સરકારે પશુ જન્મ નિયંત્રણ (Animal Birth Control - ABC) નિયમો 2023 જાહેર કર્યા છે, જે રખડતા કૂતરાઓના નસબંધી અને રાબીસ રસીકરણ પર ધ્યાન આપે છે. આ નિયમો પ્રાણીઓ પ્રત્યેની ક્રૂરતા નિવારણ અધિનિયમ, 1960 હેઠળ સૂચિત કરવામાં આવ્યા છે.
પ્રશાસનને પત્રો દ્વારા સૂચનાઓ આપવામાં આવી રહી છે
કેન્દ્રના મંત્રીએ વધુમાં જણાવ્યું કે ભારતીય પશુ કલ્યાણ બોર્ડ (AWBI) રેસિડેન્ટ વેલ્ફેર એસોસિએશન, એપાર્ટમેન્ટ ઓનર્સ એસોસિએશન કે સ્થાનિક સંસ્થાઓને યોગ્ય કાર્યવાહી કરવા પત્રો લખે છે. વર્ષ 2024-25 અને જૂન 2025 સુધી બોર્ડ દ્વારા આવા 166 પત્રો જારી કરવામાં આવ્યા છે.





