ભારતીય એજન્સીઓ મુંબઈ 26/11 આતંકવાદી હુમલાના આરોપી તહવ્વુર રાણાની સતત પૂછપરછ કરી રહી છે. આ દરમિયાન, મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પૂછપરછ દરમિયાન આરોપી રાણાએ ઘણા મોટા ખુલાસા કર્યા છે. પોલીસ સમક્ષ રાણાએ જણાવ્યું કે, ''તે પાકિસ્તાની સેનાનો એજન્ટ હતો. તેણે જણાવ્યું કે લશ્કરનું સંગઠન માત્ર આતંકવાદી હુમલાઓ માટે જ નહીં પરંતુ જાસૂસી તરીકે પણ કામ કરે છે. તેણે પૂછપરછ દરમિયાન કહ્યું કે તેના મિત્ર ડેવિડ હેડલીએ લશ્કર માટે ઘણી વખત તાલીમ પણ લીધી હતી''
છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ જેવા સ્થળોની રેકી કરી હતી
તહવ્વુર રાણાએ પોતાની કબૂલાતમાં જણાવ્યું હતું કે મુંબઈમાં ઈમિગ્રેશન ફર્મ ખોલવાનો વિચાર તેમનો હતો. તેમણે એજન્સીઓને જણાવ્યું હતું કે 26/11ના આતંકવાદી હુમલા સમયે તેઓ મુંબઈમાં હાજર હતા. એટલું જ નહીં, તે સમગ્ર કાવતરાનો ભાગ હતો. રાણાએ કહ્યું હતું કે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISIએ આ હુમલામાં સંપૂર્ણ સહયોગ આપ્યો હતો. રાણાએ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચને જણાવ્યું હતું કે, તેમણે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ જેવા સ્થળોની રેકી કરી હતી.
રાણાની NIAની કસ્ટડીમાં પૂછપરછ
તમને જણાવી દઈએ કે હાલમાં મુંબઈ પોલીસ રાણાને કસ્ટડીમાં લઈને તેની વધુ પૂછપરછ કરવા માંગે છે. મુંબઈ આતંકવાદી હુમલાના દોષી તહવ્વુર રાણાને થોડા મહિના પહેલા ભારત પ્રત્યાર્પણ કરવામાં આવ્યો છે. આ માટે ભારતીય તપાસ એજન્સી NIA અમેરિકા ગઈ હતી. ત્યાંથી તેને કાનૂની પ્રક્રિયાને અનુસરીને ભારત લાવવામાં આવ્યો હતો. હાલમાં, રાણા NIA ની કસ્ટડીમાં છે અને મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની ટીમ દિલ્હીમાં જ તેની પૂછપરછ કરી રહી છે
26 નવેમ્બરના રોજ હુમલો થયો હતો
તમને જણાવી દઈએ કે રાણા આતંકવાદી ડેવિડ હેડલીનો મિત્ર હતો. હેડલીની પૂછપરછ દરમિયાન તહવ્વુર રાણાનું નામ સામે આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે 26 નવેમ્બર 2008ના રોજ મુંબઈમાં આતંકવાદી હુમલો થયો હતો. આ હુમલો પાકિસ્તાનના 10 આતંકવાદીઓ દ્વારા કરવામાં આવ્યો હતો. બધા 10 આતંકવાદીઓ અરબી સમુદ્રના રસ્તે મુંબઈ પહોંચ્યા હતા. આતંકવાદીઓએ છત્રપતિ શિવાજી રેલ્વે ટર્મિનલ, તાજ અને ઓબેરોય હોટલ અને યહૂદી કેન્દ્ર પર હુમલો કર્યો હતો. બદલામાં બધા 9 આતંકવાદીઓ માર્યા ગયા હતા. એકમાત્ર બચી ગયેલા આતંકવાદી અજમલ કસાબને બાદમાં ફાંસી આપવામાં આવી હતી. આ હુમલામાં લગભગ 166 લોકો માર્યા ગયા હતા.






