અમદાવાદ સ્થિત ગુજરાત યુનિવર્સિટીના ગેસ્ટ હાઉસમાં 21 વર્ષીય વિદ્યાર્થિનીએ આપઘાત કર્યો હોવાની દુઃખદ ઘટના સામે આવી છે. એનએસએસ (NSS) કેમ્પ દરમિયાન ગેસ્ટ હાઉસમાં રોકાયેલી વિદ્યાર્થિનીએ ગળે ફાંસો ખાધો હોવાનું પ્રાથમિક રીતે સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં ગુજરાત યુનિવર્સિટી પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી..
21 વર્ષીય વિદ્યાર્થિનીએ આપઘાત કર્યો
મૃતક વિદ્યાર્થિનીનું નામ મહેશ્વરી ખાચર હોવાનું જાણવા મળ્યું છે. તે મૂળ બોટાદ જિલ્લાની વતની હતી અને હાલ અમદાવાદના રાણીપ વિસ્તારમાં રહેતી હતી. મહેશ્વરી ખાચર એલ.ડી. આર્ટ્સ કોલેજમાં થર્ડ યરમાં અભ્યાસ કરતી હતી. હાલ ગુજરાત યુનિવર્સિટીમાં NSS કેમ્પ ચાલી રહ્યો હોવાથી તે યુનિવર્સિટીના ગેસ્ટ હાઉસમાં રોકાઈ હતી. મળતી માહિતી મુજબ, મહેશ્વરીનું NSSમાં કામ સારું હોવાથી તેને સિનિયર વોલેન્ટિયર તરીકે જવાબદારી સોંપવામાં આવી હતી.
પોલીસે તમામ પાસાઓથી તપાસ શરૂ કરી
મૃતક વિદ્યાર્થિની સવારથી ગુજરાત યુનિવર્સિટીના વિવિધ કાર્યક્રમોમાં હાજર રહી હતી. સાંજે આશરે 5 વાગ્યે એરપોર્ટ ખાતે યોજાયેલા NSS કાર્યક્રમમાં કોલકાતાથી આવનારા મહેમાનોને લેવા જવાનું આયોજન પણ હતું. આ દરમિયાન ગેસ્ટ હાઉસમાં આ દુઃખદ બનાવ બન્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ ઉપરાંત FSL (ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી)ના અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને તપાસ હાથ ધરી છે. આપઘાતના કારણો અંગે હાલ કોઈ સ્પષ્ટ માહિતી સામે આવી નથી. પોલીસે તમામ પાસાઓથી તપાસ શરૂ કરી છે.




















