Strait of Hormuz Indian Oil Tanker: મધ્ય પૂર્વમાં ઈઝરાયલ, ઈરાન અને હિઝબુલ્લાહ વચ્ચે ચાલી રહેલા ભીષણ જંગની વચ્ચે ભારત માટે રાહતના મોટા સમાચાર સામે આવ્યા છે. વિશ્વના સૌથી સંવેદનશીલ અને મહત્વપૂર્ણ તેલ સપ્લાય રૂટ ગણાતા 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' (Strait of Hormuz) માંથી ભારતના બે વિશાળ ઓઈલ ટેન્કર સુરક્ષિત રીતે પસાર થઈ રહ્યા હોવાના અહેવાલ છે. આંતરરાષ્ટ્રીય સ્તરે વધતા તણાવ અને દરિયાઈ નાકાબંધીના ભય વચ્ચે ભારતીય જહાજોની આ સુરક્ષિત અવરજવર ભારતની મજબૂત વિદેશ નીતિ અને નૌસેનાની સજ્જતાનું પરિણામ માનવામાં આવી રહ્યું છે.
ભારતીય નૌસેનાનું અભેદ્ય સુરક્ષા કવચ
સૂત્રોના જણાવ્યા અનુસાર, હોર્મુઝની ખાડીમાં કોઈપણ અપ્રિય ઘટનાને ટાળવા માટે ભારતીય નૌસેનાના યુદ્ધજહાજોને હાઈ-એલર્ટ પર રાખવામાં આવ્યા છે. નૌસેના આ ઓઈલ ટેન્કરોને સતત ટ્રેક કરી રહી છે અને તેમને સુરક્ષા કવચ પૂરું પાડી રહી છે. આગામી દિવસોમાં ભારત માટે પેટ્રોલિયમ ઉત્પાદનો અને એલપીજી (LPG) લઈને વધુ જહાજો આ માર્ગ પરથી પસાર થવાના છે. નૌસેનાની આ સક્રિયતા પાછળનું મુખ્ય કારણ એ છે કે દેશમાં ઈંધણના પુરવઠામાં કોઈ વિક્ષેપ ન પડે અને કિંમતો કાબૂમાં રહે.
આ પણ વાંચો: અબુ ધાબીમાં મિસાઈલ હુમલો : ખલીફા ઈકોનોમિક ઝોનમાં મિસાઈલનો કાટમાળ પડતા 5 ભારતીયો ઘાયલ
ઈરાનનું ભારત પ્રત્યે નરમ વલણ: 'મિત્ર દેશ' તરીકે માન્યતા
તાજેતરમાં જ ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ એક મહત્વપૂર્ણ નિવેદન આપતા સ્પષ્ટ કર્યું હતું કે, ઈરાને ભારત, રશિયા, ચીન અને પાકિસ્તાન જેવા 'મિત્ર રાષ્ટ્રો'ના જહાજોને આ દરિયાઈ માર્ગ પરથી સુરક્ષિત અવરજવરની વિશેષ મંજૂરી આપી છે. ઈરાન દ્વારા કરવામાં આવેલી આંશિક નાકેબંધીને કારણે વૈશ્વિક બજારમાં તેલના ભાવ ભડકે બળી રહ્યા છે, પરંતુ ભારતીય જહાજો માટે આ માર્ગ ખુલ્લો રહેવો એ ભારતની મોટી કુટનીતિક જીત સમાન છે. ભારત અને ઈરાન વચ્ચેના વર્ષો જૂના મજબૂત સંબંધો આજે ઉર્જા સુરક્ષાના ક્ષેત્રમાં કામ લાગી રહ્યા છે.
આ પણ વાંચો: ઈરાન-હિઝબુલ્લાહ બાદ હવે યમનની એન્ટ્રી : ઇઝરાયલના પરમાણુ મથક પાસે ચોતરફી હુમલા શરૂ
ભારત માટે કેમ મહત્વનો છે 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ'?
ભારત માટે 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' (Strait of Hormuz) માત્ર એક દરિયાઈ માર્ગ નથી, પરંતુ દેશની આર્થિક અને ઉર્જા સુરક્ષાની લાઈફલાઈન છે. ભારત પોતાની કુલ જરૂરિયાતના 85% તેલ અને 50% ગેસની આયાત વિદેશો પર નિર્ભર રહીને કરે છે, જેમાં આ સાંકડી પટ્ટીનો ફાળો સર્વોપરી છે. ભારત આવતી તેલની કુલ ખેપનો અડધો હિસ્સો અને અડધાથી વધુ એલએનજી (LNG) જહાજો આ રૂટ પરથી જ પસાર થાય છે. જો મધ્ય પૂર્વના તણાવને કારણે આ માર્ગ લાંબો સમય બંધ રહે, તો ભારતમાં પેટ્રોલ, ડીઝલ અને રાંધણ ગેસનો પુરવઠો ખોરવાઈ શકે છે, જે સીધી રીતે મોંઘવારીમાં પ્રચંડ ઉછાળો લાવી શકે છે. આમ, દેશની ઉર્જા સુરક્ષા જાળવી રાખવા અને અર્થતંત્રને ગતિશીલ રાખવા માટે હોર્મુઝની ખાડીમાં સુરક્ષિત અવરજવર અનિવાર્ય છે.





