Akshaya Tritiya Celebration: અમદાવાદની આન, બાન અને શાન સમાન 149મી રથયાત્રા હવે ગણતરીના મહિનાઓ દૂર છે ત્યારે સમગ્ર શહેરમાં અત્યારથી જ ઉત્સાહનો માહોલ છવાઈ ગયો છે. આજે 20 એપ્રિલ, 2026 ને અખાત્રીજના પવિત્ર દિવસે ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીના ત્રણેય રથોનું શાસ્ત્રોક્ત વિધિ મુજબ પૂજન કરવામાં આવ્યું હતું. વહેલી સવારથી જ મંદિર પરિસરમાં જય જગન્નાથના નાદ સાથે ભક્તો ઉમટી પડ્યા હતા. વિદ્વાન બ્રાહ્મણો દ્વારા મંત્રોચ્ચાર અને વૈદિક વિધિ સાથે રથોની મહાપૂજા કરવામાં આવી હતી, જેની સાથે જ રથયાત્રાના પ્રથમ ચરણનો શુભારંભ થયો છે.
શીતળતા અર્પવા માટે ‘ચંદનયાત્રા’નું આયોજન
અક્ષય તૃતિયા (અખાત્રીજ) ના દિવસથી જ જગન્નાથ મંદિરમાં વિશેષ 'ચંદનયાત્રા' મહોત્સવ શરૂ કરવામાં આવે છે. ઉનાળાની આકરી ગરમીમાં ભગવાનને શીતળતા પ્રદાન કરવાના હેતુથી પ્રભુના વિગ્રહ પર ચંદનનો લેપ કરવામાં આવે છે. આ ધાર્મિક પરંપરા પાછળ એવી માન્યતા છે કે ચંદનના લેપથી ભગવાનને અસહ્ય તાપથી રાહત મળે છે. આ મનોહર દર્શનનો લાભ લેવા માટે અમદાવાદ સહિત આસપાસના વિસ્તારોમાંથી હજારો શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા.
ફૂલોથી સજ્જ રથો અને ગજરાજોનું આકર્ષણ
આજના વિશેષ દિવસે મંદિરની બહાર ત્રણેય રથોને સુંદર અને રંગબેરંગી ફૂલોના હારથી સુશોભિત કરવામાં આવ્યા હતા. આ રથોની પૂજા કર્યા બાદ હવે ખલાસી ભાઈઓ અને મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા રથોના સમારકામ, પેઇન્ટિંગ અને સુશોભનની કામગીરીને આખરી ઓપ આપવામાં આવશે. પૂજન વિધિ દરમિયાન મંદિરના ગજરાજો (હાથીઓ) ને પણ વિશેષ રીતે શણગારવામાં આવ્યા હતા, જે ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.

16 જુલાઈએ નીકળશે ભવ્ય રથયાત્રા
ચાલુ વર્ષે ભગવાન જગન્નાથની 149મી ભવ્ય રથયાત્રા 16-07-2026 ના રોજ નીકળશે. અખાત્રીજથી શરૂ થયેલી આ તૈયારીઓ હવે અવિરત ચાલશે, જેમાં રથનું નિર્માણ, મોસાળની તૈયારીઓ અને નેત્રોત્સવ વિધિ જેવા અનેક પડાવો આવશે. મંદિર પરિસરમાં ભક્તોની ભીડને જોતા પોલીસ પ્રશાસન દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા સુરક્ષા વ્યવસ્થાનું સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે જેથી કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને.
આ પણ વાંચો: અમદાવાદમાં ભાજપનું જનસમર્થન સંમેલન : વિકાસ એજન્ડા સાથે મતદાન માટે અપીલ
પરંપરા અને શ્રદ્ધાનો સંગમ
અમદાવાદની રથયાત્રા એ માત્ર ધાર્મિક ઉત્સવ નથી પરંતુ તે એક લોકઉત્સવ છે. અખાત્રીજના દિવસે થયેલું આ પૂજન એ સંકેત છે કે હવે અમી છાંટણા સાથે ભગવાન નગરચર્યાએ નીકળશે. મંદિરના મહંત અને ટ્રસ્ટીઓએ જણાવ્યું હતું કે, આ વર્ષની રથયાત્રા વધુ ભવ્ય બને તે માટે તમામ આયોજનો તેજ ગતિએ શરૂ કરી દેવામાં આવ્યા છે.





