Gujarat News: રાજ્ય સરકારના વહીવટમાં પારદર્શિતા લાવવા માટે કરવામાં આવેલા તમામ પ્રયાસો અને સુપ્રીમ કોર્ટના કડક આદેશો છતાં, ગુજરાતના અનેક સરકારી વિભાગો માહિતી અધિકાર (RTI) કાયદાનું પાલન કરવામાં ઉદાસીન જણાઈ રહ્યા છે. એક ચોંકાવનારા અહેવાલ મુજબ, રાજ્યના કુલ 27 મુખ્ય સરકારી વિભાગોમાંથી 11 વિભાગોએ હજુ સુધી 'પ્રોએક્ટિવ ડિસ્ક્લોઝર' (PAD) સર્ટિફિકેટ સબમિટ કર્યા નથી.
સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા વારંવાર પરિપત્રો બહાર પાડવામાં આવ્યા હોવા છતાં, ઉચ્ચ અધિકારીઓ અને વિભાગો આ મામલે ગંભીર જણાતા નથી. આ વિગતો એક RTI અરજી દ્વારા સામે આવી છે, જે દર્શાવે છે કે માત્ર મોટા વિભાગો જ નહીં, પરંતુ રાજ્યની હજારો જાહેર સત્તામંડળો (Public Authorities) પણ આ કાયદાકીય જોગવાઈનું ઉલ્લંઘન કરી રહ્યા છે. પ્રોએક્ટિવ ડિસ્ક્લોઝરનો મુખ્ય હેતુ એ છે કે નાગરિકોને પાયાની માહિતી મેળવવા માટે RTI કરવાની જરૂર જ ન પડે અને તમામ ડેટા વેબસાઇટ પર ઉપલબ્ધ હોય.
શું છે સમગ્ર મામલો? 1% થી પણ ઓછી સત્તામંડળોનું પાલન
RTI કાર્યકર્તા અલ્પેશ ભાવસાર દ્વારા કરવામાં આવેલી અરજીમાં જાણવા મળ્યું છે કે ગુજરાતમાં કુલ 11,883 જાહેર સત્તામંડળો છે. આશ્ચર્યની વાત એ છે કે આટલી મોટી સંખ્યામાંથી માત્ર 75 (એટલે કે 1 ટકા કરતા પણ ઓછા) સત્તામંડળોએ જ PAD સર્ટિફિકેટ જમા કરાવ્યા છે. સુપ્રીમ કોર્ટના સ્પષ્ટ આદેશ મુજબ, દરેક વિભાગે પોતાની કામગીરી, બજેટ અને અન્ય પાયાની વિગતો જાહેર કરવી ફરજિયાત છે, જેથી વહીવટમાં પારદર્શિતા જળવાય.
ખુદ મોનિટરિંગ કરતો વિભાગ જ નિયમો પાળવામાં પાછળ!
આ કેસમાં સૌથી વધુ ચોંકાવનારી બાબત એ છે કે સામાન્ય વહીવટ વિભાગ (GAD), જે આખા રાજ્યમાં આ નિયમનું પાલન કરાવવા માટે જવાબદાર છે અને જેણે અત્યાર સુધીમાં 17 જેટલા પરિપત્રો બહાર પાડ્યા છે, તેણે પોતે જ પોતાનું પ્રોએક્ટિવ ડિસ્ક્લોઝર અપડેટ કર્યું નથી. RTI અરજદારના જણાવ્યા મુજબ, માહિતી મેળવવા માટે તેમણે બે વખત અપીલ કરવી પડી હતી અને બીજી અપીલ બાદ કમિશને આદેશ આપતા આ ડેટા સામે આવ્યો છે.
આ પણ વાંચો: આણંદની ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીનું મતદાન શરૂ : ભાજપ-કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર, 2.45 મતદારો કરશે ફેંસલો
માહિતી આયોગની ભૂમિકા સામે પણ સવાલો
માહિતી અધિકાર પહેલ (MAPG) ના કન્વીનર પંક્તિ જોગે આ બાબતે નિરાશા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ માહિતી આયોગની જવાબદારી છે કે તે સુનિશ્ચિત કરે કે તમામ વિભાગો PAD સર્ટિફિકેટ આપે. તેમ છતાં, ગુજરાત માહિતી આયોગે GAD ને આ માટે જવાબદાર ઠેરવવામાં કે કડક આદેશ આપવામાં ઉદાસીનતા દાખવી છે.
શા માટે જરૂરી છે પ્રોએક્ટિવ ડિસ્ક્લોઝર (PAD)?
પ્રોએક્ટિવ ડિસ્ક્લોઝર (PAD) એ માહિતી અધિકાર (RTI) કાયદાનો આત્મા છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય સરકારી તંત્રમાં ‘ગુપ્તતાની સંસ્કૃતિ’ ને બદલે ‘પારદર્શિતાની સંસ્કૃતિ’ સ્થાપિત કરવાનો છે. જ્યારે કોઈ સરકારી વિભાગ પોતાની કાર્યપદ્ધતિ, અધિકારીઓની સત્તા, બજેટનો વપરાશ અને મહત્વના નિર્ણયોની પ્રક્રિયા સ્વતઃ જાહેર કરે છે, ત્યારે સામાન્ય નાગરિકોમાં સરકાર પ્રત્યેનો વિશ્વાસ વધે છે. આ પ્રક્રિયાથી ભ્રષ્ટાચાર પર અંકુશ આવે છે કારણ કે જ્યારે જનતાને ખબર હોય છે કે નાણાં ક્યાં અને કેવી રીતે ખર્ચાય રહ્યા છે, ત્યારે સત્તાનો દુરુપયોગ થવાની શક્યતા ઘટી જાય છે. વધુમાં, તે લોકશાહીના પાયાને મજબૂત કરે છે કારણ કે માહિતગાર નાગરિક જ વહીવટમાં સક્રિયપણે ભાગ લઈ શકે છે અને સરકારને જવાબદાર ઠેરવી શકે છે.
વહીવટી દ્રષ્ટિકોણથી જોઈએ તો, પ્રોએક્ટિવ ડિસ્ક્લોઝર સરકારી કચેરીઓ પરનું કામનું ભારણ ઘટાડવામાં ખૂબ જ મદદરૂપ સાબિત થાય છે. જો દરેક વિભાગ કલમ 4(1)(b) મુજબની તમામ 17 મુદ્દાઓની માહિતી અગાઉથી જ પોતાની વેબસાઇટ અથવા પબ્લિક ડોમેનમાં અપડેટ રાખે, તો નાગરિકોને નાની-નાની પાયાની વિગતો માટે RTI અરજી કરવાની જરૂર જ રહેતી નથી. આનાથી અરજીઓની સંખ્યામાં ઘટાડો થાય છે, પરિણામે જાહેર માહિતી અધિકારીઓ (PIOs) નો સમય બચે છે અને તેઓ અન્ય જટિલ પ્રશ્નો પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે. અંતે, આ વ્યવસ્થા સરકાર અને જનતા વચ્ચેના અંતરને ઓછું કરી એક ખુલ્લી અને જવાબદાર શાસન વ્યવસ્થાનું નિર્માણ કરવામાં પાયાની ભૂમિકા ભજવે છે.
જો આ માહિતી અગાઉથી જ ઓનલાઇન ઉપલબ્ધ હોય, તો અરજદારોને નાની બાબતો માટે RTI કરવાની જરૂર રહેતી નથી, જેનાથી સરકારી તંત્રનો સમય અને ખર્ચ બંને બચે છે. પરંતુ ગુજરાતમાં 11 મહત્વના વિભાગોની આ આળસ વહીવટી પારદર્શિતા સામે મોટા પ્રશ્નાર્થ ચિન્હો ઉભા કરે છે.






