કોંગ્રેસ નેતા પાલ આંબલીયાએ વીજ બિલના સ્લેબને લઈને ગ્રાહકો સાથે છેતરપિંડી થતી હોવાના સવાલો ઉઠાવ્યા બાદ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોને લઈને PGVCL રાજકોટના મેનેજિંગ ડિરેક્ટર કેતન જોષીએ સ્પષ્ટતા કરી છે. તેમણે આ વીડિયો “સત્યથી વેગળો” હોવાનું કહી ગ્રાહકોને ગેરસમજમાં ન આવવા અપીલ કરી છે.
MD કેતન જોષીએ જણાવ્યું કે વીજ બિલ સંપૂર્ણપણે GERC (ગુજરાત ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશન)ના નિયમો મુજબ જ બનાવવામાં આવે છે અને સ્લેબનો પૂરેપૂરો લાભ ગ્રાહકોને મળે છે. તેમણે કહ્યું કે કોઈપણ ગ્રાહકને બિલ અંગે શંકા હોય તો તે પોતાનું બિલ લઈને PGVCL કચેરીમાં આવી શકે છે અને તેમની ગેરસમજ દૂર કરવામાં આવશે.
તેમણે સમજાવ્યું કે 6 કિલોવોટથી વધુ લોડ ધરાવતા ગ્રાહકોને દર મહિને બિલ આપવામાં આવે છે, જ્યારે સામાન્ય ઘરેલુ ગ્રાહકોને બાય-મંથલી એટલે કે દર બે મહિને બિલ આપવામાં આવે છે. આ પદ્ધતિનો મુખ્ય હેતુ ગ્રાહકોને વારંવાર બિલ ભરવા માટે કચેરીના ધક્કા ન ખાવા પડે તે છે.
બિલ એક મહિને આવે કે બે મહિને સ્લેબનો લાભ સરખો જ મળે
કેતન જોષીએ જણાવ્યું કે PGVCLના સોફ્ટવેરમાં સ્લેબ આપોઆપ ડબલ થઈ જાય છે, એટલે કે બે મહિનાના બિલમાં સ્લેબનો લાભ પણ તેટલો જ મળે છે. તેમણે 502 યુનિટના બિલનું ઉદાહરણ આપી ગણતરી સમજાવી અને જણાવ્યું કે બિલ એક મહિને આવે કે બે મહિને આવે, કુલ રકમમાં કોઈ તફાવત પડતો નથી.
ગેરસમજણ દૂર કરવા PGVCL તૈયાર
તેમણે વધુમાં કહ્યું કે જો બિલ 60 દિવસના બદલે 70 દિવસે પણ આવે તો પણ ગ્રાહકોને પ્રોપોશનેટ રીતે સ્લેબનો લાભ મળે છે. PGVCL નો ઉદ્દેશ્ય નફો કમાવવાનો નહીં પરંતુ ગ્રાહકોને ગુણવત્તાયુક્ત અને વિશ્વસનીય વીજળી સેવા આપવાનો છે. MDએ અંતમાં જણાવ્યું કે ગ્રાહકોને કોઈપણ પ્રકારની મુંઝવણ હોય તો તેઓ નિર્ભયતાથી PGVCLની નજીકની કચેરીનો સંપર્ક કરી શકે છે.




















