Home Entertainment Zeenat Aman Live In Relationship Marriage Advice Bollywood News

"લગ્ન પહેલાં લિવ-ઇનમાં રહેવું જરૂરી" : બોલીવુડની બોલ્ડ અભિનેત્રીનું નિવેદન, 74 વર્ષે અચાનક કેમ આપી રીલેશનશિપની સલાહ?

Zeenat Aman Live In Relationship Advice
Published by: Nirali Gohil
Last Updated: Jun 30, 2026, 09:21 AM IST

Zeenat Aman Live In Relationship Advice: હિન્દી સિનેમાની દિગ્ગજ અભિનેત્રી જિનત અમાન આજે 74 વર્ષની ઉંમરે પણ પોતાની આધુનિક વિચારસરણીને કારણે ચર્ચામાં રહે છે. પોતાના સમયની સૌથી ગ્લેમરસ અને બોલ્ડ અભિનેત્રીઓમાં સ્થાન મેળવનારી જિનત અમાન આજે પણ સમાજ અને સંબંધો અંગે ખુલીને પોતાના વિચારો વ્યક્ત કરે છે. તાજેતરમાં તેમણે લગ્ન અને સંબંધોને લઈને આપેલા નિવેદનથી ફરી ચર્ચા જગાવી છે. જિનત અમાનનું માનવું છે કે, લગ્ન જીવનભરનો નિર્ણય છે અને તેને ઉતાવળમાં લેવાને બદલે પાર્ટનરને સારી રીતે સમજવો ખૂબ જરૂરી છે. તેમના મતે લગ્ન પહેલાં લિવ-ઇન રિલેશનશિપમાં રહેવું કપલ માટે ફાયદાકારક બની શકે છે, કારણ કે તેનાથી બંને વ્યક્તિઓ એકબીજાની વિચારસરણી, સ્વભાવ અને જીવનશૈલીને નજીકથી સમજી શકે છે.

લિવ-ઇન સંબંધોને લઈને શું બોલ્યા જિનત અમાન?

જિનત અમાને એક ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું હતું કે આજના સમયમાં જ નહીં પરંતુ અગાઉ પણ સંબંધોમાં સમજણ સૌથી મહત્વપૂર્ણ રહી છે. તેમના મતે કાનૂની રીતે લગ્નના બંધનમાં બંધાતા પહેલાં પાર્ટનર સાથેની સુસંગતતા તપાસવી જરૂરી છે. અભિનેત્રીએ કહ્યું કે, લગ્ન પહેલાં એ સમજવું જરૂરી છે કે, બંને વ્યક્તિઓ માનસિક અને ભાવનાત્મક રીતે એકબીજા માટે યોગ્ય છે કે નહીં. જો ભવિષ્યમાં બાળકોની યોજના હોય તો તેમને કેવી રીતે ઉછેરવા, આર્થિક બાબતો અંગે બંનેની વિચારસરણી શું છે અને જીવનના મહત્વપૂર્ણ નિર્ણયો અંગે બંને વચ્ચે કેટલું તાલમેલ છે તે જાણવું જરૂરી બને છે. તેમણે પ્રશ્ન ઉઠાવતા કહ્યું કે, જો બે લોકો વચ્ચે મૂળભૂત બાબતો પર સહમતિ જ ન હોય તો સંબંધ લાંબા સમય સુધી ટકી શકશે નહીં. આવા સંજોગોમાં વર્ષો સુધી મુશ્કેલીઓ ભરેલું જીવન જીવવા કરતાં થોડા વર્ષો સુધી ખુશી અને સમજણ સાથે જીવવું વધુ યોગ્ય છે.

આ પણ વાંચો: "મારી પાસે માતૃત્વની લાગણી નથી..." : રિયાલિટી શો 'લોક અપ 2'માં આકાંક્ષા ચમોલાનો ચોંકાવનારો ખુલાસો, કહ્યું- ગૌરવ મને છોડી શકે છે


‘સંબંધ માત્ર પ્રેમથી નહીં, સમજણથી ટકે’

જિનત અમાનનું માનવું છે કે કોઈપણ સંબંધ માત્ર રોમાન્સ અથવા શરૂઆતના આકર્ષણના આધારે લાંબો સમય ટકી શકતો નથી. સંબંધને મજબૂત બનાવવા માટે પરસ્પર સન્માન, વિશ્વાસ અને સતત પ્રયાસોની જરૂર પડે છે. તેમણે જણાવ્યું કે, સંબંધોમાં સમય જતાં બદલાવ આવવો સ્વાભાવિક છે. શરૂઆતનો હનીમૂન ફેઝ હંમેશા રહેતો નથી, તેથી કપલે એકબીજાને સમજવા, પરિસ્થિતિ અનુસાર એડજસ્ટ થવા અને સમાધાન કરવાની તૈયારી રાખવી જોઈએ. અભિનેત્રીના મતે સંબંધને લાંબો સમય સફળ બનાવવા માટે માત્ર પ્રેમ નહીં પરંતુ પ્રતિબદ્ધતા અને જવાબદારીની ભાવના પણ એટલી જ જરૂરી છે.

સોશિયલ મીડિયા પર પણ વ્યક્ત કરી ચૂકી છે વિચાર

જિનત અમાન અગાઉ પણ પોતાના સોશિયલ મીડિયા પોસ્ટ્સ દ્વારા લગ્ન પહેલાં સાથે રહેવાની સલાહ આપી ચૂકી છે. તેમના મતે લગ્ન પહેલાં સાથે રહેવાનો નિર્ણય વ્યક્તિગત પસંદગીનો વિષય છે, પરંતુ તેનાથી સંબંધ અંગે સ્પષ્ટતા મળે છે અને ભવિષ્યના નિર્ણયો વધુ સમજદારીપૂર્વક લઈ શકાય છે. તેમના આ નિવેદન પર સોશિયલ મીડિયા પર મિશ્ર પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે. કેટલાક લોકો તેમના વિચારોને આધુનિક અને વ્યવહારુ ગણાવી રહ્યા છે, જ્યારે કેટલાક પરંપરાગત મૂલ્યોના આધારે અસહમતિ પણ વ્યક્ત કરી રહ્યા છે.

આ પણ વાંચો: ફિલ્મ ઉદ્યોગ માટે કેન્દ્ર સરકારનો માસ્ટર પ્લાન : સિનેમાઘરો અને AI ટેક્નોલોજી માટે લીધા બે મોટા નિર્ણયો

આજે પણ અભિનય ક્ષેત્રમાં સક્રિય છે જિનત અમાન

જિનત અમાન આજે પણ મનોરંજન જગતમાં સક્રિય છે. તાજેતરમાં તેઓ 2025માં રિલીઝ થયેલી નેટફ્લિક્સ સિરીઝ 'ધ રોયલ્સ'માં જોવા મળ્યા હતા. તેમના લાંબા ફિલ્મી કરિયરમાં તેમણે 'સત્યમ શિવમ સુંદરમ', 'ડોન', 'કુર્બાની' જેવી અનેક યાદગાર ફિલ્મોમાં અભિનય કરીને દર્શકોના દિલમાં ખાસ સ્થાન બનાવ્યું છે. તેમના તાજેતરના નિવેદને ફરી એકવાર સંબંધો, લગ્ન અને આધુનિક જીવનશૈલી અંગે ચર્ચા જગાવી છે, જેમાં ઘણા લોકો તેને બદલાતા સમય સાથે જોડાયેલા વ્યવહારુ અભિગમ તરીકે જોઈ રહ્યા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now