ચહલ-ધનશ્રી વચ્ચે ડિવોર્સની અફવા
ભારતના સ્ટાર ક્રિકેટર યુજવેન્દ્ર ચહલ અને તેમની પત્ની અભિનેત્રી કમ કોરિયોગ્રાફર ધનશ્રી વર્મા વચ્ચેના સબંધો વણસ્યા હોવાની ચર્ચાઓથી સોશિયલ મીડિયામાં ગરમાવો આવ્યો છે. બંનેએ ઈન્સ્ટ્રાગ્રામ એકાઉન્ટમાં એકબીજાને અનફોલો કરતા બંનેના છૂટા પડવાની વાતોએ જોર પકડ્યું છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ ચહલે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટમાંથી ધનશ્રી સાથેની તમામ તસવીરો હટાવી દીધી છે.
આ અફવાઓ વચ્ચે યુજવેન્દ્ર ચહલે એક ઈન્સ્ટાગ્રામ સ્ટોરી શેર કરી છે. જેમાં તેમણે લખ્યું કે- આકરી મહેનત લોકોના ચારિત્ર્યને ઉજાગર કરતી જ હોય છે, તમે તમારો સંઘર્ષ જાણો છો, તમારી પીડા સમજો છો. તમે જાણો છો કે અહીં સુધી પહોંચવા માટે તમે શું શું કર્યું છે. દુનિયા જાણે છે કે તમે બુલંદ છો. માતા-પિતાને ગૌરવ અપાવવા માટે પરસેવો પાડ્યો છે. કાયમ એક ગૌરવન્વિંત દીકરાની જેમ બુલંદ રહો.
ચહલ અને ધનશ્રીની રિલેશનશીપ કાયમ ચર્ચામાં
મીડિયા રિપોર્ટ્સ મુજબ બંને લાંબા સમયથી એકબીજા સાથે રહેતા નથી. હાલ તો ચહલ કે ધનશ્રી બંનેમાંથી કોઈએ મગનું નામ મરી પાડ્યું નથી. યુજવેન્દ્ર ચહલ અને ધનશ્રીના લગ્ન 11 ડિસેમ્બર, 2020માં થયા હતા. આ પહેલીવખતનું નથી કે બંને વચ્ચેના સબંધોમાં તિરાડ પડવાને લઈ અફવા ના ઉડી હોય. વર્ષ 2023માં પણ ધનશ્રીએ પોતાના ઈન્સ્ટા હેન્ડલમાંથી ચહલ હટાવી દીધુ હતું. તે સમયે ચહલે આ વાતને અફવા ગણાવી દીધી હતી.
લૉકડાઉનમાં પાંગર્યો હતો પ્રેમ
કોરોનાકાળમાં લૉકડાઉન દરમિયાન યુજવેન્દ્ર ચહલે ધનશ્રીનો સંપર્ક ડાન્સ શીખવા માટે કર્યો હતો. તે બાદ ધનશ્રી ડાન્સ શીખવવા તૈયાર થઈ ગઈ. ત્યારબાદ બંને મિત્રો બન્યા, અને તે બાદ એકબીજાના પ્રેમમાં પડ્યા. ધનશ્રીએ ઝલક દિખલા જા-11માં આ કિસ્સો શેર કર્યો હતો.
યુજવેન્દ્ર ચહલ હાલ ટીમ ઈન્ડિયાથી બહાર છે. વર્ષ 2024માં ટી-20 વર્લ્ડકપ ટીમમાં સામેલ તો હતા, પરંતુ તેઓ એકપણ મેચ રમી શક્યા નહોંતા. જાન્યુઆરી 2023માં છેલ્લી વન ડે તો ઓગસ્ટ 2023માં છેલ્લી ટી 20 રમ્યા છે. આઈપીએલ 2025માં પંજાબ કિંગ્સે ચહલને રૂ.18 કરોડમાં ખરીદ્યો છે.



















