Patidar Youth Business Mahasammelan : અમદાવાદમાં સમસ્ત પાટીદાર સમાજનું ભવ્ય યુવા મહાસંમેલન યોજાવાનું છે. વિશ્વઉમિયાધામ ખાતે 28 ડિસેમ્બરે આ યુવા બિઝનેસ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દેશ-વિદેશના પાટીદાર યુવાનો મોટી સંખ્યામાં જોડાશે. આ મહાસંમેલનમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે. બપોરે 3 વાગ્યે અમિત શાહની હાજરીમાં મહાસંમેલન શુભારંભ થશે, જે સમાજ માટે એક મહત્વપૂર્ણ પ્રસંગ બનશે.
7 દેશોમાંથી પાટીદાર યુવા બિઝનેસમેન ભાગ લેશે
આ યુવા મહાસંમેલનમાં અમેરિકા સહિત કુલ 7 દેશોમાંથી પાટીદાર યુવા બિઝનેસમેન ભાગ લેશે, જ્યારે સમગ્ર કાર્યક્રમમાં 20 હજારથી વધુ યુવા ઉદ્યોગપતિઓ અને બિઝનેસમેન હાજર રહેવાની સંભાવના છે. મહાસંમેલનમાં યુવા ઉદ્યોગ, બિઝનેસ, રોજગાર અને સમાજના વિકાસને લગતા વિષયો પર ચર્ચા કરવામાં આવશે.
પાટીદાર સમાજના અનેક આગેવાનો હાજર રહેશે
આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત પાટીદાર સમાજના અનેક મંત્રીઓ અને આગેવાનો પણ ઉપસ્થિત રહેશે. વિશ્વઉમિયાધામ ખાતે યોજાતું આ યુવા મહાસંમેલન પાટીદાર યુવાનો માટે માર્ગદર્શન, પ્રેરણા અને એકતાનું મજબૂત મંચ પુરું પાડશે તેવી વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ આર પી પટેલએ આશા વ્યક્ત કરી છે.





















