Yogi Adityanath on NEET Paper Leak: NEET પેપર લીક મુદ્દે દેશભરમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શન અને રાજકીય ઘમાસાણ વચ્ચે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પ્રથમ વખત જાહેરમાં પોતાની પ્રતિક્રિયા આપી છે. ફતેહપુરમાં યોજાયેલા એક કાર્યક્રમ દરમિયાન તેમણે પેપર લીક કૌભાંડને લઈને કેન્દ્ર સરકારના પગલાંનું સમર્થન કર્યું અને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, હવે નકલ માફિયાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમણે દાવો કર્યો કે, નવી કાનૂની જોગવાઈઓ અમલમાં આવ્યા બાદ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ખેલ કરનારાઓને બચાવી શકાય તેમ નહીં રહે.
યોગી આદિત્યનાથે પોતાના સંબોધનમાં સમાજવાદી પાર્ટી (SP) અને કોંગ્રેસ પર પણ આકરા પ્રહારો કર્યા. તેમણે આરોપ લગાવ્યો કે, અગાઉની સરકારોના સમયમાં યુવાનોના હિતોને પ્રાથમિકતા આપવામાં આવતી નહોતી અને નકલ માફિયાઓને પ્રોત્સાહન મળતું હતું. તેમણે કહ્યું કે હાલની સરકાર વિદ્યાર્થીઓના ભવિષ્યને સુરક્ષિત રાખવા માટે કડક નિર્ણયો લઈ રહી છે અને પરીક્ષા પ્રણાલીને વધુ પારદર્શક બનાવવાના પ્રયાસો કરી રહી છે.
'નકલ માફિયાને હવે કોઈ બચાવી નહીં શકે'
મુખ્યમંત્રી યોગીએ જણાવ્યું કે, કેન્દ્ર સરકારે પરીક્ષાઓમાં ગેરરીતિઓ રોકવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. તેમણે કહ્યું કે, કેન્દ્રીય મંત્રિમંડળે એવા બિલને મંજૂરી આપી છે, જેમાં પેપર લીક અને નકલ જેવી ગેરરીતિઓમાં સંડોવાયેલા લોકોને 10 વર્ષ સુધીની સજા અને રૂ.10 કરોડ સુધીના દંડની જોગવાઈ કરવામાં આવી છે. તેમના જણાવ્યા મુજબ, આ બિલ સંસદમાં રજૂ કરવામાં આવશે અને તેનો હેતુ પરીક્ષા વ્યવસ્થામાં વિશ્વાસ પુનઃસ્થાપિત કરવાનો છે. યોગીએ કહ્યું કે, "હવે નકલ માફિયાને માટીમાં ભેળવી દેવામાં આવશે. વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં કરનારાઓને કોઈ બચાવી શકશે નહીં."
આ પણ વાંચો: 'હવે હુકમ નહીં ચાલે, નવી પેઢી પ્રશ્નો પૂછશે જ' : Gen-Zને લઈને RSS પ્રમુખ મોહન ભાગવતનું મહત્વપૂર્ણ નિવેદન
SP અને કોંગ્રેસ પર સાધ્યું રાજકીય નિશાન
યોગી આદિત્યનાથે પોતાના ભાષણ દરમિયાન સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસની પણ ટીકા કરી. તેમણે આરોપ લગાવ્યો કે, વર્ષો સુધી યુવાનોનું શોષણ થયું અને શિક્ષણ વ્યવસ્થામાં ગેરરીતિઓને પ્રોત્સાહન મળ્યું. તેમના મતે નકલ માફિયાની સંસ્કૃતિ અગાઉની સરકારોની વારસાગત સમસ્યા છે, જ્યારે હાલની સરકાર તેને સંપૂર્ણપણે સમાપ્ત કરવા માટે પ્રતિબદ્ધ છે.
NTAમાં કાર્યવાહીનો પણ કર્યો ઉલ્લેખ
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, NEET પેપર લીકના મુદ્દે કેન્દ્ર સરકારે અનેક મહત્વપૂર્ણ પગલાં લીધા છે. તેમણે દાવો કર્યો કે, NTAમાં પણ કડક કાર્યવાહી કરવામાં આવી છે અને સંસ્થાના અનેક અધિકારીઓ સામે પગલાં લેવાયા છે. સાથે જ ગેરરીતિઓમાં સંડોવાયેલા લોકો સામે કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું. યોગીના જણાવ્યા મુજબ આ પગલાં વિદ્યાર્થીઓનું એક શૈક્ષણિક વર્ષ બગડે નહીં અને પરીક્ષા પ્રક્રિયામાં વિશ્વાસ જળવાઈ રહે તે હેતુથી લેવામાં આવ્યા છે.
વિદ્યાર્થીઓનું આંદોલન યથાવત
બીજી તરફ, દિલ્હીના જંતર-મંતર સહિત દેશના અનેક શહેરોમાં NEET પેપર લીક મુદ્દે વિદ્યાર્થીઓનું વિરોધ પ્રદર્શન ચાલુ છે. વિરોધ પ્રદર્શન સાથે જોડાયેલા સંગઠનો અને વિદ્યાર્થીઓની મુખ્ય માંગણીઓમાં પરીક્ષા પ્રણાલીમાં પારદર્શિતા, જવાબદારો સામે કડક કાર્યવાહી અને કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગનો સમાવેશ થાય છે.
વિપક્ષે સરકારને ઘેરી
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ NEET પેપર લીક મુદ્દે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની ટીકા કરતાં તેમના રાજીનામાની માંગ પુનરાવર્તિત કરી હતી. રાહુલ ગાંધીના જણાવ્યા મુજબ માત્ર રાજીનામું પૂરતું નહીં પરંતુ પરીક્ષા પ્રણાલીમાં જવાબદારી નક્કી કરવી પણ જરૂરી છે.
સરકાર અને પ્રતિનિધિઓ વચ્ચે ફરી બેઠક
આંદોલન વચ્ચે સરકાર અને વિરોધ પ્રદર્શન સાથે સંકળાયેલા પ્રતિનિધિઓ વચ્ચે વધુ એક તબક્કાની બેઠક યોજાવાની છે. બંને પક્ષો વચ્ચે અગાઉ પણ ચર્ચા થઈ ચૂકી છે, પરંતુ મુખ્ય માંગણીઓ પર હજુ સુધી સંપૂર્ણ સહમતી બની નથી. તેથી આગામી બેઠક પર સૌની નજર ટકેલી છે કે આ મુદ્દે કોઈ મહત્વપૂર્ણ નિર્ણય સામે આવે છે કે નહીં.





